સીએસએમટી-દિલ્હી રાજધાની એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન રોજ દોડાવાશે

મુંબઈઃ 19 જાન્યુઆરીથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને હઝરત નિઝામુદ્દીન (દિલ્હી) વચ્ચે રાજધાની એક્સપ્રેસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડાવવામાં આવશે, એવી મધ્ય રેલવેએ જાહેરાત કરી છે. આ રૂટ પર પ્રવાસ કરનારાઓને આનાથી ઘણી રાહત મળશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાયા બાદ મધ્ય રેલવેએ બંધ કરેલી રાજધાની એક્સપ્રેસને ગઈ 30 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એને અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ દોડાવવામાં આવે છે. હવે આ ટ્રેન દ્વારા પ્રવાસ કરનારાઓ તરફથી મળેલા પ્રતિસાદ તથા માગણીને ધ્યાનમાં લઈને મધ્ય રેલવેએ આ ટ્રેન સપ્તાહમાં દરરોજ દોડાવવાનું નક્કી કર્યું છે. તેથી 19 જાન્યુઆરીથી પ્રવાસીઓની તકલીફનો અંત આવી જશે. આ ટ્રેન સીએસએમટી સ્ટેશનેથી રોજ બપોરે 4 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9.55 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન હઝરત નિઝામુદ્દીન સ્ટેશનેથી સાંજે 4.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.15 વાગ્યે સીએસએમટી પહોંચશે. ટ્રેનના હોલ્ટ સ્ટેશનોની યાદીમાં કોઈ ફરક નથી. ટિકિટ રિઝર્વેશન આજથી તમામ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સેન્ટરો ખાતે તેમજ www.irctc.co.in વેબસાઈટ પરથી શરૂ કરવામાં આવ્યું છે.