બલૂચિસ્તાનના જબ્બાર માર્કેટમાં ભયંકર વિસ્ફોટ, 4નાં મોત, 20 ઘાયલ

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં આવેલા જબ્બાર માર્કેટ નજીક રવિવારે રાત્રે થયેલા શક્તિશાળી વિસ્ફોટથી ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે આસપાસની ઘણી દુકાનો ધ્વસ્ત થઈ ગઈ અને કેટલીકમાં આગ ફાટી નીકળી, જેનાથી વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું. આ ઘટના બાદ અજાણ્યા હુમલાખોરોએ ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી)ની બિલ્ડિંગ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેનાથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ.

કિલ્લા અબ્દુલ્લાના નાયબ કમિશનર રિયાજ ખાને જણાવ્યું કે, “જબ્બાર માર્કેટ નજીક ફ્રન્ટિયર કોર્પ્સની બિલ્ડિંગ પાછળ આ શક્તિશાળી વિસ્ફોટ થયો. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં આદિવાસી નેતા હાજી ફૈઝુલ્લા ખાન ગાબીઝાઈનો એક સુરક્ષા ગાર્ડ પણ સામેલ છે.” વિસ્ફોટ બાદ હુમલાખોરોએ એફસી કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, જેનાથી સ્થિતિ વધુ તંગ બની. અધિકારીઓએ તાત્કાલિક વિસ્તારને ખાલી કરાવી, સીલ કરી દીધો અને હુમલાખોરોને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક ચમનની ડિસ્ટ્રિક્ટ હેલ્થ હેડક્વાર્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટીએ આ હુમલાની નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે હોસ્પિટલોને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની સૂચના આપી છે.

બલૂચિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી અશાંતિનો માહોલ છે, જેમાં સ્થાનિક બલૂચ સમુદાય અને રાજકીય જૂથો પાકિસ્તાનની કેન્દ્ર સરકાર પર પ્રાંતના ખનીજ સંપત્તિના શોષણનો આરોપ લગાવે છે. તાજેતરના મહિનાઓમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા બળવાખોર જૂથોએ સુરક્ષા દળો પર હુમલાઓ તેજ કર્યા છે. આ પહેલાં ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર થયેલા ગોળીબારમાં ચાર સુરક્ષા કર્મચારીઓનાં મોત થયા હતા.

બલૂચિસ્તાનમાં વધતી અશાંતિના કારણે પ્રાંતની સુરક્ષા સ્થિતિ ગંભીર બની છે. ગત મહિને જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ અને 26 લોકોની હત્યા સહિત અનેક હુમલાઓએ પાકિસ્તાન સરકારની ચિંતા વધારી છે. બલૂચ નેતાઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારે પ્રાંતના 80% વિસ્તાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે, અને તેઓ આંતરરાષ્ટ્રીય સમર્થનની માંગ કરી રહ્યા છે.