ગુજરાતના સંરક્ષણ PRO, MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ IAFમાંથી નિવૃત્ત થયા

ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી (PRO) અને સંરક્ષણ મંત્રાલય (MoD)ના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનીષ 26 વર્ષ કરતાં વધુ સમયની વિશિષ્ટ કારકિર્દીમાં સેવા આપ્યા પછી નેતૃત્વ અને શ્રેષ્ઠતાનો વારસો છોડીને 15 જુલાઈ 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા છે.

આ અધિકારીનો જન્મ દિલ્હીમાં થયો હતો અને પોતાના શાળાકીય અભ્યાસ પછી, તેઓ પુણેના ખડકવાસલા ખાતેની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાં જોડાવા માટે પસંદગી પામ્યા હતા. તેમણે એરફોર્સ એકેડેમીમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી, તેમને 20 ડિસેમ્બર 1997ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં તેમને નિયુક્તિ આપવામાં આવી હતી. તેમના સેવાકાળ દરમિયાન, તેમણે મીગ-21 ટાઇપ-75, મીગ-21 ટાઇપ-77, ISKARA, KIRAN, HPT-32 અને કેનબેરા ફાઇટર/બોમ્બરના વિવિધ વેરિઅન્ટ્સ જેવા એરક્રાફ્ટ્સ ઉડાડ્યા છે. આ અધિકારી આકાશ, MRSAM અને રશિયન મૂળની પેચોરા મિસાઇલ સિસ્ટમ્સ જેવા વિવિધ પ્રકારના સરફેસ-ટુ-એર ગાઇડેડ હથિયારો પર પણ ક્વોલિફાઇ થયેલા છે. ગ્રૂપ કેપ્ટન મનીષ 2016 થી 2018 દરમિયાન IAFમાં સૌથી મોટા કોમ્બેટ સ્ક્વૉડ્રનમાંથી એકની કમાન્ડ પર સેવા આપી ચુક્યા છે. તેમણે અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ નિદેશાલયમાં દિલ્હીમાં એર હેડક્વાર્ટર સંયુક્ત નિદેશક તરીકે પણ સેવા આપી છે. આ કાર્યકાળના ભાગ રૂપે, તેમણે મધ્ય યુરોપ (ચેક રિપબ્લિક) અને થાઇલેન્ડની સત્તાવાર વિદેશ યાત્રાઓ કરી હતી અને ત્યાં વિશ્વના અન્ય સશસ્ત્ર દળોની સમૃદ્ધ ઓપરેશનલ આંતરસૂઝ મેળવી હતી.

સ્વૈચ્છિક નિવૃત્તિ પહેલાંના પોતાના છેલ્લા કાર્યકાળમાં આ અધિકારીની ગુજરાત રાજ્ય અને દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી આ બંને સંલગ્ન કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંરક્ષણ PRO અને સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તરીકેની અત્યંત મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાતના સંરક્ષણ PRO તરીકે, આ અધિકારીએ ગાંધીનગરમાં ‘ડિફેન્સ એક્સ્પો-2022’ની 12મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું જેમાં 1000 કરતાં વધારે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ કંપનીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું અને 450 કરતાં વધુ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બેંગલુરુમાં યોજવામાં આવેલા એરો ઇન્ડિયા-2023ના સુચારુ સંચાલનમાં પણ તેમણે ભૂમિકા નિભાવી હતી. ભારતે ડિસેમ્બર-2022માં G-20ની અધ્યક્ષતા સંભાળ્યા બાદ આ અધિકારીએ જાપાનમાં વીર ગાર્ડિયન નામની પ્રથમ આંતરરાષ્ટ્રીય કવાયતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જે દરમિયાન બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ અધિકારીના સમર્પિત પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, આ કવાયતે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું અને પ્રસિદ્ધિ મેળવી હતી.