સસ્તા અનાજની દુકાન હવે બંધ નહીં થાય, રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યના રેશન કાર્ડ ધરાવતા લોકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાલ ગુજરાતમાં લગભગ 73 લાખ NFSA કાર્ડ ધારકો છે. રેશન કાર્ડ ધારકો તરફથી વારંવાર સસ્તા અનાજની દુકાન બંધ હોવાની ફરીયાદથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. આ નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે.

આ અગાઉ સસ્તા અનાજના દુકાન દારો મનગમતા સમયે દુકાન બંધ કરી દેતા હતા. આ નિર્ણય બાદ હવે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે. રેશનિંગની દુકાનોનો સમય સવારે 8.30 થી 12 અને સાંજે 3.30 થી 6 વાગ્યા સુધીનો છે. જ્યારે સોમવાર તેમજ જાહેર રજાના દિવસે દુકાનો બંધ હોય છે.

અત્રે  ઉલ્લેખનીય છે કે આ કાર્ડ અંતરગત રાજ્યના 66 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોની 3.23 કરોડની જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત  રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ 1 કિ.ગ્રા ચણા. રૂ.30 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.50 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂ.1 પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.