હૃદયના દર્દીઓમાં નોંધાયો 15 ટકાનો વધારો

ગુજરાત સહિત દેશમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાય રહ્યો છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. એટલેકે પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે.

ઈમરજન્સી સેવાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઈન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે 317 દર્દીમાં બલૂન, 1038માં ડિવાઇસ, 860માં પેસમેકર, 5189માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મુકવામાં આવેલા છે.