‘મણિપુર હિંસાની તપાસ માટે કમિશન બનાવાશે’, અમિત શાહે કહ્યું- હવે બધું નિયંત્રણમાં છે, કોઈને છોડવામાં નહીં આવે

ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે (1 જૂન) મણિપુર હિંસા પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, મેં ત્રણ દિવસથી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મેં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સહિત દરેક સમુદાય સાથે બેઠક કરી છે. ભારત સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સ્તરના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા હિંસાની તપાસ પૂર્ણ કરશે. આ માટે એક કમિશનની રચના કરવામાં આવશે. આ સાથે ભારત સરકાર શાંતિ સમિતિની પણ રચના કરશે. મણિપુરમાં ઘણી એજન્સીઓ કામ કરી રહી છે.


અમિત શાહે કહ્યું, પીડિત પરિવારોને વળતર મળશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખનું વળતર આપવામાં આવશે. સાથે જ સીબીઆઈની વિશેષ ટીમ 6 કેસની તપાસ કરશે. આ દરમિયાન ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સારી છે.


મણિપુરમાં રેલ્વે સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે?

રાજ્યમાં સ્થિતિ સુધરવાની માહિતી આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે, 15 પેટ્રોલ પંપ પસંદ કરવામાં આવ્યા છે, જે દિવસ-રાત ખુલ્લા રહેશે. મણિપુરમાં પણ રેલવે દ્વારા સપ્લાય શરૂ કરવામાં આવશે. આ બધી રીતે રાજ્યમાં જે વસ્તુઓની કમી છે તે પૂરી થશે. રેલ્વે સેવા 2-3 દિવસમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.


ગૃહમંત્રીએ કહ્યું કે ભારત સરકારના કેટલાક શિક્ષણ અધિકારીઓ મણિપુર પહોંચ્યા છે, જેથી બાળકો માટે શિક્ષણ વ્યવસ્થાને સરળ બનાવી શકાય. અમિત શાહે દાવો કર્યો કે બાળકોના ભણતરમાં કોઈ અડચણ નહીં આવે. કરારની શરતોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેની પાસે હથિયારો છે તેમણે પોલીસને સોંપી દેવા જોઈએ અને આત્મસમર્પણ કરવું જોઈએ.


મણિપુરમાં હિંસા કેમ થઈ?

માહિતી આપતા અમિત શાહે કહ્યું કે, 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે રાજ્યમાં બે જૂથો વચ્ચે હિંસા શરૂ થઈ હતી, જોકે હવે બધું નિયંત્રણમાં છે. અમિત શાહે કહ્યું કે, મણિપુરના ઈતિહાસમાં મોદીજીના 6 વર્ષ અને ડબલ એન્જિન સરકાર વિકાસના વર્ષો હતા. શિક્ષણ, આરોગ્યમાં આપણે પ્રગતિ કરી છે. જ્યારથી મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી મણિપુર હિંસા અને કર્ફ્યુથી મુક્ત છે.