મુંબઈની હાજી અલી દરગાહ માટે અક્ષય કુમારે લીધો આવો નિર્ણય

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર એક સારા અભિનેતા હોવા ઉપરાંત તેની ઉદારતા માટે પણ જાણીતા છે. અક્ષય કુમાર ક્યારેય લોકોની મદદ કરવામાં પાછી પાની કરતા નથી. ઘણા પ્રસંગોએ અભિનેતા લાખો અને કરોડો રૂપિયાનું દાન કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે ફરી અભિનેતાએ કંઈક એવું જ કર્યું છે, જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

દરગાહ માટે કરોડોનું દાન
હકીકતમાં, તાજેતરમાં અક્ષય કુમારે મુંબઈમાં હાજી અલી દરગાહની મુલાકાત લીધી હતી, જ્યાં હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ તેમની ટીમ સાથે અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અક્ષય કુમારની દરગાહ પર નમાજ પઢતા હોવાની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં અક્કીએ દરગાહ જઈને વધુ એક ઉમદા કાર્ય કર્યું છે, જેની ચર્ચા અત્યારે દરેક જગ્યાએ થઈ રહી છે. અભિનેતાએ દરગાહના એક ભાગને ફરીથી બનાવવાની જવાબદારી લીધી છે અને આ માટે અક્ષયે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. હાજી અલી દરગાહ ટ્રસ્ટ અનુસાર અક્ષય કુમારે હાજી અલી દરગાહ માટે લગભગ 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. લોકો અક્ષયની આ ઉદારતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

અક્ષય કુમાર લંગર પીરસતા જોવા મળ્યા

નોંધનીય છે કે આ પહેલા અક્ષયે મુંબઈમાં પોતાના ઘરે લંગરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર પોતે લંગરમાં ભોજન પીરસતા જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન અક્ષયે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેપની સાથે માસ્ક પણ પહેર્યો હતો પરંતુ તે પછી પણ ચાહકો તેને ઓળખી ગયા. અક્ષયના આ વીડિયોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.

અક્ષય કુમારના કામની વાત કરીએ તો તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર ‘સિંઘમ અગેન’, ‘હેરા ફેરી 3’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળવાના
છે.