ફાધર વાલેસનું વાસ્તવિક જીવન

‘સવાઈ ગુજરાતી’ ફાધર વાલેસનું 9 નવેમ્બર, 2020ના રોજ મેડ્રીડ, સ્પેનમાં નિધન થયું. તેમના મૃત્યુના આ સમાચારથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણીઓ ઉમટી પડી. અનેક પ્રિન્ટ મિડિયા, સોશિયલ મિડિયા તેમજ ટીવી ચેનલોએ ફાધર વાલેસના ગુજરાતમાં શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપેલા અવિસ્મરણીય પ્રદાનને યાદ કર્યું. 

અનેક લોકો માટે પ્રેરણા તેમજ માર્ગદર્શન રહેલા આદરણીય ફાધર વાલેસને અહોભાવ વ્યક્ત કરતી યોગ્ય શ્રદ્ધાંજલિઓ લોકોએ અર્પિત કરી. વર્ષ 1970ની શરૂઆતથી એટલે કે, લગભગ ચારેક દાયકાથી ફાધર વાલેસે ગુજરાતની બૌદ્ધિક, નૈતિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો તેમના શિક્ષણ, વ્યાખ્યાન તેમજ લેખિની વડે પૂરી કરી છે. તેમના મૃત્યુ બાદ તેમને લોકો દ્વારા અપાયેલી નોંધપાત્ર શ્રદ્ધાંજલિ થકી ફાધર વાલેસના જીવન તેમજ વ્યક્તિત્વના અનેક પાસાં પ્રકાશિત થયા છે.

ઘણીવાર, વ્યક્તિનું વ્યક્તિત્વ તેનાથી જુદું હોય છે. ફાધર વાલેસનું વાસ્તવિક જીવન જાહેર જીવનમાં બહાર આવ્યું જ નહોતું. એમના વ્યક્તિત્વનું એક અનન્ય લક્ષણ જે લાંબા સમયના એમના નિકટના એક સહયોગીના ધ્યાનમાં આવ્યું છે. તે એ કે, તેઓ ઈચ્છે ત્યારે લોકોના હૃદય તેમજ આત્મા સાથે અદ્ભુત સમન્વય સાધી શકતા હતા અને એ સાથે જ જ્યારે પણ તેઓ પ્રાર્થના અથવા એકાંતમાં સમય પસાર કરવા ઈચ્છતા તો તાત્કાલિક પોતાનું ધ્યાન લોકોથી અલગ કરી શકતા હતા. આથી જ ફાધર વાલેસની જીવની અંગે ટૂંકાણમાં લખવું ખૂબ જ પડકારભર્યું છે. જો કે, તેમના સાથીદારો, મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ ફાધર વાલેસને જાણ્યા હતા અને તે લોકોએ જણાવેલા કિસ્સાઓ દ્વારા હું ફાધર વાલેસની મહાનતા વર્ણવવાનો પ્રયત્ન કરું છું.

મારી ફાધર વાલેસ સાથેની બહુ પુરાણી યાદો મને મારા પૂર્વજોના ગામ ચકલાસીના 1981માં બનેલા એક બનાવ તરફ ખેંચી જાય છે, ત્યારે હું ફક્ત ચાર વર્ષનો હતો. તે વખતે ફાધર વાલેસ એક સાંજે મારા ઘેર આવેલા. એક ગોરી, ઉંચી એવી વિદેશી વ્યક્તિ કે જેમના સેલિબ્રિટી સ્ટેટસથી હું અજાણ હતો, પણ તેમનું વ્યક્તિત્વ ખરેખર બહુ જ અદ્ભુત હતું. શાબ્દિક અને આલંકારિક રૂપે પૂર્ણ હતું! હું બહુ જ અચંબિત હતો કે, આવનારા નવા ‘ફાધર’ મારા કાકા જેઓ પૂજારી હતા, તેમના કરતાં પણ વધુ ધ્યાન મેળવી રહ્યા હતા. આ વ્યક્તિ બીજું કોઈ નહિં, પણ એ જ ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વેલેસ હતા, જેઓ ‘ફાધર વાલેસ’ તરીકે આખા ગુજરાતમાં લોકપ્રિય હતા. એમની આ મુલાકાતે મારા પર ઘણો જ ઉંડો પ્રભાવ છોડ્યો હતો. કારણ કે, આજ સુધી મારા ઘર આગળ આવી જનમેદની મેં નહોતી જોઈ, જે ફક્ત એમની એક ઝલક જોવા માટે ભેગી થઈ હતી. અસંખ્ય લોકો ભેગા થઈને ધક્કામુક્કીમાં એકબીજા પર પડી રહ્યા હતા. આ ધસારો અમારા ઘરમાં ન આવી જાય અને મારા દાદા-દાદી તેમજ માતા-પિતા સાથેની વાતચીતમાં ખલેલ ના પહોંચે તેથી મારા દાદાજીએ અનિચ્છાએ મુખ્ય દ્વાર બંધ કરવું પડ્યું હતું.

બસ, તે આ જ સમય હતો જ્યારે તેમણે અમારા ઘરની મુલાકાત લીધી હતી. પરંતુ મારી માતા, જેણે આતુરતાપૂર્વક તેમના બધા પુસ્તકો અને લેખો વાંચ્યા હતા, તે મુલાકાતને મારા પરિવારના સૌથી પ્રખ્યાત પુસ્તક – પવિત્ર બાઇબલ પર થોડા શબ્દો લખી આપવાની વિનંતી કરીને તે મુલાકાતને શાશ્વત બનાવી દીધી હતી. ફાધર વાલેસે અતિપ્રસન્નતાપૂર્વક લખ્યું હતું, ‘ફાધર વાલેસના આશિર્વાદ’. મારા માતા-પિતા, ભાઈ-બહેન અને હું આજે પણ તેમણે 21 માર્ચ, 1981ના દિને પવિત્ર ગ્રંથ પર લખેલા એ શબ્દોનું હૃદયપૂર્વક જતન કરીએ છીએ. ફક્ત એટલા માટે નહીં કે તેમાં તેમણે આશિર્વાદ આપ્યાં છે. પરંતુ એટલા માટે કે તે શબ્દો એક મહાપુરુષ અને સજ્જન દ્વારા લખાયેલા છે.

ફાધર વાલેસ સાથેની એ જ મારી પહેલી મુલાકાત હતી, જેની યાદો હવે ધૂંધળી થઈ ગઈ છે. પરંતુ ત્રણ દાયકા બાદ હું ફરીથી ફાધર વાલેસને વર્ષ 2011માં મળ્યો. આ વખતે તે જ જેસુઈટ ઓર્ડરના યુવાન પાદરી તરીકે, જે તેઓ 79 વર્ષથી રહ્યાં છે. પરંતુ એક વાત છે , દરેક રીતે એમની સાથેની મારી બીજી મુલાકાત મારા માટે વધુ મૂલ્યવાન બનતી જાય છે. જો કે, મારી આ વાત હું અહીં છેલ્લે લખીશ. કારણ કે, હજુ બીજી અનેક મહાન ઘટનાઓને મારે અહીં પ્રાધાન્ય આપવું છે.

જ્યારે પ્રિન્ટ મિડિયામાં ફાધર વાલેસ જીવન કરતાં ય વધારે વ્યક્તિત્વ હતું. ત્યારે તે કોલેજ કેમ્પસમાં ડાઉન-ટૂ-અર્થ અને નિરાશાજનક પાત્ર તરીકે હું ઘણાને મળ્યો. આવો જ એક વિદ્યાર્થી, જે 1970ના વર્ષમાં ઝેવિરાઇટ હતો અને ત્યાંની હોસ્ટેલમાં રહેતો હતો. તે થોડા દિવસ પહેલાં યાદ આવ્યો કે, કેવી રીતે ફાધર વાલેસ તેમની કોલેજની મેસમાં સેંકડો વિદ્યાર્થીઓ જોડે રોજ જમતાં અને શુદ્ધ, શાકાહારી ગુજરાતી ભોજનની લિજ્જત માણતાં અને સંતોષની નિશાની તરીકે આંગળીઓ પણ ચાટતા. ‘એક વિદેશીને આવું કરતાં જોઈને મને ઘણું આશ્ચર્ય થતું. હું એમનાથી ઘણો જ પ્રભાવિત હતો.’ આ સાથે જ ઝેવિરાઇટે ફાધર વાલેસની અનોખી ભણાવવાની રીતના પણ વખાણ કર્યા. તેઓ બહુ કરૂણામય હતા, છતાં તેમના વિદ્યાર્થીઓને વર્ગમાં સજાગ રહેવા પ્રેરિત કરતા. તેમની ભણાવવાની એક પદ્ધતિ બહુ અસરકારક હતી. તે એ કે, તેઓ ભણાવવામાં પોતાના બંને હાથનો ઉપયોગ કરતા. જમણા હાથે લખે અને ડાબા હાથે તે ભૂંસી નાખે! મારા મિત્રે આ જણાવ્યું કે તે પણ ઘણો ભાગ્યશાળી હતો કે, તેને પણ તેમના ગણિતના ક્લાસમાં ભણવા મળ્યું. એક વાત તો અચૂક જણાવવાની કે, ફાધરના વર્ગમાં એટલી શાંતિ રહેતી કે, ટાંચણી પડે તો ય અવાજ આવે, દરેકે દરેક વિદ્યાર્થી તેમની સાથે ભણવામાં તાલ મેળવવા માટે બ્લેક બોર્ડ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

સહુથી વધુ માનીતા શિક્ષક હોવા છતાં તેમના વર્ગમાં ઓછામાં ઓછા અને છેલ્લા રહી ગયેલા વિદ્યાર્થી માટેની તેમની ચિંતા જરાય ઓછી નહોતી. ફાધર વાલેસના બીજા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ફાધર વિન્સેન્ટ બ્રગાન્ઝા, કે જેઓ બાદમાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિન્સિપલ બન્યા, તેમણે તેમને અચંબિત કરી દેતો એક કિસ્સો મમળાવ્યો. ‘વર્ષ 1970માં તે કોલેજના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. એક દિવસ ખીચોખીચ ભરેલા વર્ગમાં ફાધર વાલેસની આગળ પોતે વર્ગમાં પ્રવેશ કર્યો અને છેલ્લી બેન્ચ પર ગપચૂપ બેસી ગયો જેથી પોતે કોઈના ધ્યાનમાં ન આવે અને ધ્યાન ટાળવા માટે સમગ્ર લેક્ચરમાં શાંત રહ્યો. ફાધર વાલેસ કુશળતાપૂર્વક ડિફરેન્શિયલ ઈક્વેશનના મૂળભૂત સિદ્ધાંતો શીખવવા લાગ્યા. મને લાગ્યું કે મારા પર કોઈનું તેમજ ફાધરનું પણ ધ્યાન નથી. એ રીતે હું કોઈના ધ્યાનમાં આવવાથી બચી ગયો.’ પણ થોડાં વર્ષો બાદ ફાધર વાલેસ મળ્યા ત્યારે બોલ્યા, ‘ અલબત્ત, હું જાણતો હતો કે તમે મારા વર્ગમાં હાજર છો. શું તમે તે દિવસે ડાબી બાજુના ખૂણામાં છેલ્લી બેંચ પર બેઠા ન હતા? મેં તમને જોયા હતા અને તમારી અસ્વસ્થતા અનુભવી હતી અને નક્કી કર્યું કે, તમને કોઈ પ્રશ્ન પૂછવા માટે વર્ગમાં બધા વચ્ચે ઉભો નહીં કરું’. આ વાત જણાવતાં ફાધર વિન્સેન્ટની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. વધુમાં તેમણે ઉમેર્યું, ‘ત્યારબાદ પણ મારા કોલેજ નિવાસ દરમ્યાન એક સહકાર્યકર તેમજ મિત્ર તરીકે મેં તેમના તરફથી વર્ષો સુધી એ જ કાળજી અને પ્રેમ મેળવ્યા!’


હકીકતમાં, ફાધર વાલેસ કેમ્પસની બહાર પણ એક સહૃદયી વ્યક્તિ હતા. ‘વિહાર-યાત્રા’ દરમ્યાન એમના ઘણા યજમાનો એમના વખાણ કરતા નહોતા થાકતા. તેઓ જણાવતા કે કઈ રીતે ફાધર વાલેસ બધા સાથે હળી મળી જતા અને તેમના આતિથ્યને માણતા. આ એક દાયકા સુધી ચાલેલો પ્રયોગ હતો. જેમાં ફાધર વાલેસ લોકોની જીવની તેમજ સંસ્કૃતિ જાણવા માટે દાયકાઓ સુધી પ્રયોગના ધોરણે પ્રવાસી મહેમાન બનીને ઘેર ઘેર રહેતા હતા. એકવાર તેમના ધાર્મિક ગુરૂ કે જેમને ફાધર વાલેસની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ તેમનું અમદાવાદના ગીચ અને મધ્યમવર્ગીય વિસ્તારમાં કેવું સંચાલન છે, તે જોવા અચાનક આવી પહોંચ્યા અને ફાધર વાલેસ જે ઘરમાં મહેમાન તરીકે રહ્યાં હતા ત્યાં પહોંચીને જોતાં જ તેઓ દંગ રહી ગયા. તેમણે જોયું કે, ફાધર વાલેસ નીચે જમીન પર સૂતા હતા. પરિવારની આવ-જાવ વચ્ચે પણ તેઓ શાંતિથી મીઠી નિદ્રા માણી રહ્યાં હતા. ‘જાણે દુનિયાની પરવાર છોડીને કોઈ બાળક ઉંઘી રહ્યો હોય!’ ફાધરના ગુરૂ થોડીવાર રહીને ફરી આવ્યા, ત્યારે પણ તેમને થોડી મિનિટો રાહ જોવી પડી, ત્યારબાદ ફાધર વાલેસ મીઠી નિદ્રામાંથી જાગ્યા.

આટલી બાળસહજતા અને સાદું આચરણ હોવા છતાં આ મહાત્માની આધ્યાત્મિક ચમકમાં જરા જેટલી કમી નહોતી આવી. તેમના વાચકો તેમના પ્રશંસક તો હતા જ, પણ તેમના માટે અનન્ય શ્રદ્ધા પણ ધરાવતા હતા. તેમાંથી ઘણા માટે ફાધર વાલેસ ગુરૂ હતા, કોઈ માટે સંત તો કોઈ માટે મહાન માણસ હતા. ફાધર વિનાયક, જેઓ ફાધર વાલેસના સારા મિત્ર હતા. તેઓ તેમના જીવનનો અવાક્ કરી દેતો એક બનાવ જણાવે છે. જાન્યુઆરી 2011માં, ફાધર તેમના મિત્રો, વાચકો અને પ્રશંસકોને મળવા તેમજ ગુજરાત સાથેનો સંબંધ ફરીથી સ્થાપિત કરવા માટે અમદાવાદ આવ્યા હતા. હંમેશ મુજબ, ઝેવિયર્સ રેસિડેન્સ, કોલેજ ફાધર્સના બંગલામાં ફાધર રોકાયા. વર્ષ 1990માં તેઓ ભારત છોડીને તેમના વતન સ્પેન ગયા તે અગાઉથી એટલે કે, છેલ્લા 4 દાયકાથી આ બંગલો તેમનું રહેઠાણ હતું.

એક દિવસ ફાધર એક રિપોર્ટરને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા, તે સમયે એક અજાણી વ્યક્તિ દરવાજે આવી અને તેણે પૂછ્યું કે, ‘ફાધર વાલેસ અહીં આસપાસમાં છે?’ ફાધર વિનાયકે સમર્થન આપ્યું કે તરત જ એ વ્યક્તિ પોતાને ફાધર પાસે લઈ જવા માટે વિનંતી કરવા લાગી. તેને કોઈ બીજા દિવસે આવવા માટે સલાહ આપવામાં આવી, તો તેણે આજીજીપૂર્વક કહ્યું, ‘મારે ફાધર વાલેસ સાથે કોઈ વાત નથી કરવી. મારે તો ફક્ત તેમના દર્શન કરવા છે, તે પણ દૂરથી ય ચાલશે. મારે માટે એટલું પણ પૂરતું છે. મારી તમને વિનંતી છે, તેઓ જ્યાં છે ત્યાં મને લઈ જાઓ.’ આગંતુકના કાલાવાલાને કારણે અનિચ્છાએ પણ હું તેને ફાધરનો જ્યાં ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો, તે ઓરડા તરફ લઈ ગયો. ફાધરને જોતાવેંત તે વ્યક્તિ તેમના પગમાં પડીને સાષ્ટાંગ નમન કરવા લાગ્યો. એક મિનિટ બાદ તે ઉભો થયો અને ફરીથી ફાધરને વાંકો વળીને નમન કરીને એક પણ  શબ્દ બોલ્યા વગર તરત જ ત્યાંથી નીકળી ગયો. ફાધર વિનાયક તેની પાછળ ગયા અને પૂછ્યું કે, ‘શું તે ફાધર વાલેસને જાણે છે?’ તે જે બોલ્યો તે મારે જરૂરથી અહીં ટાંકવું છે, ‘હું ફાધર વાલેસ વિશે વધુ નથી જાણતો. તેમજ તેઓ પણ મને નથી જાણતા. મને હમણા સાંભળવા મળ્યું કે, તેઓ આ શહેરમાં આવ્યા છે, કે તરત પહેલી બસ પકડીને હું અહીં એમના દર્શન માટે આવી ગયો. મારા માટે તેઓ અમારા વખતના દેવતા છે.’ આપણામાંથી કોઈ આવી માનવ પ્રત્યેની ભક્તિને સરળતાથી સ્વીકારી નથી શકતા. પરંતુ ફાધર વાલેસ કોઈ સામાન્ય માનવી નહોતા. તેઓ તો ભલમનસાઈ, દયા અને કરૂણા જેવા ઈશ્વરીય ગુણોનું ઝળહળતું ઉદાહરણ હતા. એ પ્રમાણે જોતાં, ઈશ્વરના હૃદય પછી ફાધર વાલેસ એક પવિત્ર વ્યક્તિ હતા.

એમને રૂબરૂ મળવાનું મારા બાળપણનું સપનું વર્ષ 2011માં પૂરું થયું. 1981માં તેઓ મારા ઘેર આવ્યા હતા તેના પૂરા 30 વર્ષ બાદ! દરમ્યાન મેં એમણે ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલા ઘણા પુસ્તકો વાંચી લીધા હતા અને હું તેમનો કેટલો મોટો પ્રશંસક છું તે કહેવા હું બહુ આતુર હતો. છેવટે, તેમને મળવાની તક મને મળી ગઈ. હું મેડ્રિડમાં વર્લ્ડ યુથ કન્વેશન માટે ગુજરાતના યુવાનોના સમૂહ સાથે હતો. જૂથમાંથી કોઈએ ફાધર વાલેસનો સંપર્ક સાધ્યો અને તેમને સ્પેઇનમાં તેમના જીવન અને કાર્ય વિશેની વાતો અમને કહેવાની વિનંતી કરી. તેમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને નિર્ધારિત કરેલા સમયે તેઓ આવી પહોંચ્યા. હું થોડો મોડો પહોંચ્યો અને શાંતિથી જૂથમાં જોડાઈ ગયો, આખું જૂથ ફાધરના શબ્દો અને હાવભાવથી સંમોહિત હતું! સ્પેનિશની રાજધાનીની એક ગલ્લીની વચ્ચે, તેઓ લગભગ 20 મિનિટ સુધી શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા. ભાષણના અંતે, મીઠાઈના બે પેકેટ બતાવતા તેઓ બોલ્યા, ‘આ તમારા માટે છે. હું જાણું છું કે, ગુજરાતીઓને મીઠાઈ ખૂબ ભાવે.’ ફાધરના આ શબ્દોએ ખરેખર મારા મોંઢામાં મીઠાશ ભરી દીધી હતી! ત્યારબાદ જેવી મને એમની સાથે વાત કરવાની તક મળી, મેં તેમણે 1981માં મારા ઘરની મુલાકાત લીધી હતી તે જાણ કરી અને જણાવ્યું કે, તે દિવસે જે નાના છોકરાને તેમણે આશિર્વાદ આપ્યા હતા તે હવે યુવા પાદરી થઈ ચૂક્યો છે. તેઓ આ જાણીને ઘણા ખુશ થયા અને મને ખાતરી આપતાં જણાવ્યું કે, ‘તેઓ તેમની એ મુલાકાતને તેમજ પોતે બાઈબલમાં લખી આપેલા આશિર્વાદને પ્રેમથી યાદ કરે છે.’ હું તો અવાક્ થઈ ગયો, તેમનો હૃદયપૂર્વક આભાર માનીને, આ અનૂભવથી અભિભૂત થતો ધીરેથી ભીડથી દૂર જતો રહ્યો.

આ બધી યાદો અરીસાના ટુકડા જેવી છે. જે વ્યક્તિનું ફક્ત અપૂર્ણ ચિત્ર બતાવે છે, પરંતુ જેણે જીવનની દરેક બાબતમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે. જો કે, અહીં આ ટુકડાઓને ચોંટાડીને એકરૂપ કરીને ફાધર વાલેસની એક અનન્ય ઝલક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક એવી મહાન વ્યક્તિ કે જેમને આપણામાંથી ઘણા લોકોએ ફક્ત તેમના ચિત્રો, લખાણ અને હવે છેવટે તેમને અપાયેલી શ્રદ્ધાંજલિ થકી જ જાણ્યા છે!

(ફાધર સુનિલ મૅકવાન, એસજે)

(લેખક સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી ભણાવે છે)