શું ભારતીય વાસ્તુમાં સુખી થવા માટેના નિયમો છે?

માણસે માનવજાતિને આપેલી ભેટમાં બફારો પણ ગણી શકાય. કીડીને એનું ભોજન મળી જાય છે. એ સતત પોતાનું કર્તવ્ય નિભાવે છે. તો અન્ય જીવો પણ કુદરત સાથે સંતુલનથી જીવે છે. માનવ બનવું તે શ્રેષ્ઠ પ્રક્રિયા છે એવું પણ માણસે જ કહ્યું છે ને? માણસ જે અવનવી શોધ કરે છે એ જ એનું વ્યક્તિત્વ બદલીને એને માણસ તરીકે જીવવામાં તકલીફો ઉભી કરે છે. વેદિક સમયનો માણસ કદાચ શ્રેષ્ઠ જીવ હોઈ શકે. પણ આજે દારૂના નશામાં ભ્રષ્ટ વિચારો સાથે પોતાના જ જીવનથી અસંતુષ્ઠ અન્યને ખરાબ સાબિત કરવા મથતો માણસ જેને બેન્કના હફ્તાના સપના આવતા હોય એને શ્રેષ્ઠ ગણી શકાય? કે પછી પેલા વાયરસથી ડરતો માણસ પણ શ્રેષ્ઠ ગણાય? સુખી થવા માટે માણસે પાછા વેદિક સમયના નિયમો સમજવા પડશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: માણસ જે રીતે ધર્મ, પ્રાંત, જાતી, ભાષા, રંગના નામે વિભાજીત થઇ રહ્યા છીએ, ક્યારેક સવાલ ઉદ્ભવે છે કે આના કરતા તો જાનવરો સારા ન ગણાય? એ જીવ પોતાની વસાહત સાથે સંતુલિત રહે છે. એટલે જ એક સામાન્ય વાયરસ સમગ્ર માનવજાતિને ઘરમાં કેદ કરવા સક્ષમ છે. પણ શું વાસ્તુના કોઈ એવા નિયમો નથી જેના કારણે સમગ્ર વિશ્વ ફરી એક વાર સુખી બને?

જવાબ: માણસને પોતાનું મહત્વ નહતું ત્યાં સુધી એ અન્ય જીવોને સન્માન આપવા સક્ષમ હતો. જેમજેમ એને પોતાની જાત અન્ય જીવો કરતા વધારે સારી સાબિત કરવાની ઈચ્છા વધતી ગઈ એ અન્યને પોતાના તાબામાં રાખવા પ્રયત્ન કરવા લાગ્યો. અને એના એ જ આવિષ્કાર માનવજાતિનું નુકશાન કરવા સક્ષમ હતા. માણસને બધું પોતાને અનુકુળ કરવાનો શોખ છે. પણ એની એ ઈચ્છાઓ એના કાબુમાં નથી. એ પોતાના શાસ્ત્રોને ભૂલી અને ટેકનોલોજી તરફ ભાગવા લાગ્યો. અંતે શું મળ્યું?

ભારતીય વાસ્તુમાં સુખી થવા માટેના નિયમો છે. પણ એને સરખી રીતે સમજવા માટે કેટલા લોકો તૈયાર છે? સુખી બધાને થવું છે. પણ બધું ઇન્સ્ટંટ જોઈએ છે. અને ઇન્સ્સ્ટંટ સુખ જેવું કશું હોતું નથી. પણ હા, ભારતીય વાસ્તુને સાચી રીતે સમજવામાં આવે તો તે વ્યક્તિગત સુખ આપવા સક્ષમ છે. બસ એને યોગ્ય વ્યક્તિની સલાહથી સમજવું જરૂરી છે.

સુચન: ભારતીય વાસ્તુને એના સાચા સ્વરૂપે સમજવા માટે પુરતો સમય આપવો જરૂરી છે.

 (આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)