સાતમાં નોરતે કરો મા કાલરાત્રિની પૂજા, ગ્રહબાધાઓ અને ભય થશે દૂર

અમદાવાદઃ આજે નવરાત્રિનો સાતમો દિવસ છે. સાતમા દિવસે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા કાલરાત્રિની પૂજાનું ખૂબ જ મહત્વ છે. આજે જાણીશું માં કાલરાત્રિના મહિમા વિશે.

નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા કાલરાત્રિની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે.

માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, ત્રણ નેત્રો છે, માંની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે, માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. માતાજી પોતાના ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશિર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. માંના ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે.

માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ કાલરાત્રી હંમેશા શુભ ફળ આપનારા દેવી છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે પરંતુ ભક્તોએ માતાજીથી કોઇપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી કારણકે માં હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે.

માં કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે. માતાજીની આરાધના કરવાથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત સહિતની કોઈપણ વસ્તુ આપણાથી દુર ભાગે છે. માં કાલરાત્રીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી ગ્રહ બાધાઓ પણ દૂર થાય છે. માં કાલરાત્રીના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, રાત્રિ વગે સહિતી વસ્તુઓનો ક્યારેય ભય લાગતો નથી અને તે હંમેશા નિર્ભય રહે છે.

મા કાલરાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન, અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ. આ નિયમોનુ પાલન કરીને જો માં કાલરાત્રીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)