આ ખેલાડીએ કેમ ખેલકૂદ મંત્રાલય પાસેથી ન્યાય માગ્યો?

નવી દિલ્હીઃ રમત-ગમત પ્રધાન કિરણ રીજીજૂએ બોક્સર નિકહત જરીનની એમ સી મેરીકોમ સામે ટ્રાયલ મેચ કરાવવાની માંગથી સર્જાયેલા વિવાદમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર મહાસંઘને દેશ અને પ્લેયર્સના હિતમાં સર્વશ્રેષ્ઠ નિર્ણય લેવા માટે જ કહી શકે છે. જરીને ગુરુવારના રોજ રીજીજૂને પત્ર લખીને ચીનમાં આવતા વર્ષે થનારા ઓલમ્પિક ક્વોલીફાયર માટે ભારતીય ટીમની પસંદગી પહેલા મેરીકોમ વિરુદ્ધ ટ્રાયલ મેચ આયોજિત કરવાની માંગ કરી હતી. આ પહેલા BFI (Indian Boxing Federation) દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેરીકોમના તાજેતરમાં રશિયામાં વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતવાના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તે છ વારની વિશ્વ ચેમ્પિયનને પસંદ કરાવાનો ઈરાદો રાખે છે. ત્યારબાદ જ જરીને આ પત્ર લખ્યો છે. રિજીજૂએ જરીનના પત્રના જવાબમાં કહ્યું છે કે, હું નિશ્ચિત રીતે બોક્સિંગ મહાસંઘને દેશ, રમત અને ખેલાડિઓના સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવા માટે કહીશ.

મેરિકોમે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે તે બીએફઆઈના નિર્ણય અનુસાર ચાલશે. બીએફઆઈએ પહેલા કહ્યું હતું કે વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ અને રજત પદક વિજેતા બોક્સર્સની જ ઓલમ્પિક ક્વોલિફાયર માટે સીધી પસંદગી થશે. જરીનને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા પણ ટ્રાયલ મેચ માટે તક આપવામાં નહોતી આવી. મહાસંઘે ત્યારે ઈન્ડિયા ઓપન અને પ્રેસીડેન્ટ કપમાં સુવર્ણ પદક જીતવાના કારણે મેરીકોમની પસંદગી કરવાનો નિર્ણય કર્યો હતો.