પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર અને તેમની પત્ની વિરુદ્ધ FIR : જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર, તેની પત્ની ફરહીન પ્રભાકર વિરુદ્ધ FIR નોંધાઈ છે. આ ફરિયાદ પ્રભાકરની લંડનમાં રહેતી પૂર્વ પત્ની સંધ્યાએ નોંધાવી છે. દાખલ કરાયેલી એફઆઈઆરમાં સંધ્યાએ પ્રભાકર પર આરોપ લગાવ્યો છે કે, તેમણે કેટલાક રાજનેતાઓની મદદથી દક્ષિણ દિલ્હી સ્થિત તેમના ફ્લેટને વેચી દીધો.

સંધ્યાએ જ્યારે પ્રભાકર અને તેમની વર્તમાન પત્ની સાથે સંપર્ક કર્યો તો આ કપલે સંધ્યાને આના ખરાબ પરિણામો ભોગવવાની વાત કહી. સંધ્યાએ કહ્યું કે, ફરહીને તેને ફ્લેટ પાછો આપે તે માટે 1.5 કરોડની માંગ કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, પહેલા આ પારિવારિક મુદ્દો લાગી રહ્યો હતો પરંતુ તપાસ પછી ખબર પડી છે કે ફરહીનની તે સંપત્તિ પર નજર છે.

સંધ્યાના જણાવ્યા અનુસાર તેના બીજા પતિ દિવંગ્ત લક્ષ્મી ચાંદ પંડિતે 1995માં દિલ્હીના સર્વપ્રિયા વિહારમાં 7/18 બિલ્ડીંગમાં બીજા માળે ફ્લેટ લીધો હતો. મકાન લક્ષ્મી ચંડ પંડિતના નામે જ હતું. સંધ્યા તે ફ્લેટમાં 2006 સુધી રહી હતી. તે પછી તેનો ભાઈ ત્યાં રહેતો હતો. ભાઈ પછી તેનો એક મિત્ર ઓગસ્ટ 2018 સુધી ત્યાં રહેલો. તેમજ તેના પરિવારજનો અવારનવાર ફ્લેટનો ઉપયોગ કરતાં હતા.

સંધ્યાએ આરોપ લગાવ્યો છે કે જુલાઈ 2019માં તેને તેના ભાઈથી ખબર પડી કે મનોજ પ્રભાકરે ગુંડાઓની મદદથી તાળું તોડીને કબ્જો લીધો હતો. મનોજ અને તેની પત્ની બે બાળકો સાથે આ બિલ્ડીંગમાં જ પહેલા માળે રહે છે. પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ શરૂ થઇ ગઈ છે. પ્રભાકર અને તેમની પત્નીનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે.

સર્વપ્રિયા વિહારના એક એપોર્ટમેન્ટમાં બીજા માળે મહિલાનું મકાન છે. જ્યારે એપાર્ટમેન્ટના પહેલા માળે મનોજ પ્રભાકર રહે છે. રિપોર્ટ પ્રમાણે ફ્લેટના નકલી દસ્તાવેજો બનાવીને મહિલાના ફ્લેટનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને તેમના એક જાણકારને ત્યાં રાખવામાં આવ્યો હતો.