નેસ વાડિયા સામે પ્રીતિ ઝીન્ટાએ કરેલો છેડતીનો કેસ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ ઉદ્યોગપતિ નેસ વાડિયા સામે 2014માં કરેલો છેડતીનો કેસ મુંબઈ હાઈકોર્ટે રદ કર્યો છે.

ન્યાયમૂર્તિઓ ભારતી ડાંગ્રે અને રણજીત મોરેની બેન્ચે પ્રીતિ તથા વાડિયા, બંનેને સુનાવણી વખતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

કેસ રદ કરવા માટે વાડિયાએ કરેલી પીટિશન ઉપર જવાબ આપવાનો કોર્ટે પ્રીતિને ગઈ વેળાની સુનાવણી વખતે પ્રીતિને આદેશ આપ્યો હતો, પણ પ્રીતિએ એનો જવાબ આપ્યો નહોતો.

2014માં, પ્રીતિએ તેના કેસમાં એવો આરોપ મૂક્યો હતો કે 30 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઈપીએલ મેચ વખતે વાડિયાએ એની છેડતી કરી હતી. પ્રીતિએ કહ્યું હતું કે અન્ય દર્શકોની નજર સામે વાડિયા એની પાસે આવ્યા હતા અને એને પોતાની તરફ ખેંચીને અપશબ્દો બોલવાની શરૂઆત કરી હતી.

2018ના ફેબ્રુઆરીમાં, પોલીસને નેસ વાડિયા સામે ફરિયાદ મળી હતી. બાદમાં, વાડિયાએ કેસને રદ કરવા માટે હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી. વાડિયાએ એવો દાવો કર્યો હતો કે આ કેસ અંગત દ્વેષભાવને કારણે કરવામાં આવેલો છે. સંબંધિત બનાવ માત્ર એક ગેરસમજવાળો છે.