મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે જોડાવાથી નારાજ શિવસેનાના આ નેતાએ આપ્યું રાજીનામું

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસના મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા બાદ શિવસેનાના નેતા રમેશ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. સોલંકીએ ટ્વીટર પર આની જાણકારી આપી છે. તેમણે શિવસેનાના કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર સાથે મળીને બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સોલંકીએ કહ્યું કે મારી વિચારધારા એ વાતની મંજૂરી નથી આપતી કે તેઓ આગળ નવા સમીકરણો સાથે શિવસેના માટે કામ કરે.

 

 

 

 

 

 

 

 

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મેં ભારે હૈયે મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય કર્યો છે. હું શિવસેના સીએમ બનાવવા બદલ બધાને શુભેચ્છાઓ આપું છું. પરંતુ મારી વિચારધારા મને એવાતની મંજૂરી નથી આપતી કે હું કોંગ્રેસ સાથે કામ કરું. હું મન લગાવ્યા વગર કામ ન કરી શકું અને આવું કરવું એ મારા પદ, મારા સાથીઓ અને શિવસૈનિકો માટે પણ યોગ્ય નહી હોય.

રમેશ સોલંકીએ કહ્યું કે, હું હંમેશા બાલાસાહેબનો શિવસૈનિક રહીશ. તમામ શિવસૈનિકો મારા ભાઈ અને બહેન છે અને તેમની સાથે 21 વર્ષો સુધી જોડાયેલો રહ્યો તે મારા માટે ગર્વની વાત રહી. હું એવા સમયે પર શિવસેનાથી અલગ થઈ રહ્યો છું કે જ્યારે રાજ્યમાં પાર્ટી પહેલાથી વધારે મજબૂત છે.