પ્રયાગરાજમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે થનારા લગ્નો પર પ્રતિબંધ..

પ્રયાગરાજઃ જાન્યુઆરી અને માર્ચ 2019માં જે લોકોએ પ્રયાગરાજ(અલાહાબાદ)માં વેડિંગ પ્લાનિંગ કરી રાખ્યું છે તે લોકો માટે નિરાશાજનક સમાચાર છે. યોગી આદિત્યનાથ સરકારે આવતા વર્ષે પ્રયાગરાજમાં થનારા કુંભ દરમિયાન વિવાહ સમારંભો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે જો કે લોકો સરકારના આ નિર્ણયથી ખુશ નથી.

જે લોકોએ ગેસ્ટ હાઉસ, ફંક્શન લોન, અને કેટરર્સ માટે પહેલાથી જ બુકિંગ કરી રાખ્યું છે તે લોકો સરકારના આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સેંકડો એવા લગ્નોની તારીખ બદલવી પડી રહી છે કે જે લગ્નો પહેલાથી જ ફિક્સ થઈ ગયા છે. ત્યારે જે લોકોને લગ્નની તારીખ નથી બદલવી તે લોકો આસ પાસના અન્ય જિલ્લામાં જગ્યાઓની શોધ કરી રહ્યા છે.

જાહેર કરવામાં આદેશ અનુસાર કુંભ સ્નાનથી એક દિવસ પહેલા અને એક દિવસ બાદ લગ્ન પ્રસંગને મંજૂરી આપવામાં નહી આવે. જિલ્લા પ્રશાસન દ્વારા ઓર્ડરની કોપી વેડિંગ હોલના માલિકો અને હોટલ માલિકોને મોકલવામાં આવી છે, તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ તે સમયગાળા દરમિયાનના તમામ બુકિંગ રદ્દ કરી દે.

આ તીર્થ યાત્રા દરમિયાન પાંચ મુખ્ય સ્નાન, પવિત્ર સ્નાન હશે અને બે સ્નાન જાન્યુઆરીમાં હશે. પહેલું સ્નાન મકર સક્રાંતિ અને બીજુ સ્નાન પોષ પૂર્ણિમા સ્નાન છે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં મૌની અમાસ, વસંત પંચમી, અને માઘી પૂર્ણિમા સ્નાન અને માર્ચમાં મહાશિવરાત્રી સ્નાન થશે. ત્યારે કુંભના આ મેળમાં તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે 15 ડિસેમ્બર, 2018 થી 15 માર્ચ 2019 સુધી કાનપુરના તમામ ચામડાના કારખાનાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.