આજથી સંસદનું શિયાળુ સત્રઃ ઐતિહાસિક બની રહેશે આ સત્ર, કારણ કે…

નવી દિલ્હીઃ સંસદનું શીતકાલીન સત્ર આજથી શરુ થઈ રહ્યું છે. આ સત્ર 13 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન નબળી પડતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી, ખેડુતો માથે સંકટ અને જમ્મૂ-કાશ્મીરમાં રાજનૈતિક નેતાઓની અટકાયતને લઈને વાત થઈ શકે છે. મહારાષ્ટ્રની અસ્થિર રાજનૈતિક સ્થિતીની પૃષ્ઠભૂમિને લઈને પણ ચર્ચા થશે. સત્તારુઢ ભાજપ લાંબા સમયથી સહયોગી રહેલી શિવસેનાથી અલગ થઈ ગઈ છે. હવે અહીંયા સરકારના ગઠન માટે શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની તૈયારી છે. આ સત્રમાં જે પ્રમુખ વિધેયકો પર ચર્ચા થવાની છે તેમાં નાગરિકતા સંશોધન વિધેયકનો સમાવેશ થાય છે, જેને સરકાર પોતાના ગત કાર્યકાળમાં પારિત કરવી શકી નહોતી. આ એક ઐતિહાસિક સત્ર હશે કારણ કે આ વખતે રાજ્યસભાની 250 બેઠક હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુસત્ર પહેલાં આશા વ્યક્ત કરી કે પાછલા સત્રની જેમ આ સત્રમાં પણ તમામ સભ્યોનો સકારાત્મક અને સક્રિય સહયોગ મળશે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે. રાજ્યસભાનું 250મુ સત્ર છે. આ સત્ર દરમ્યાન 26 તારીખના રોજ આપણો સંવિધાન દિવસ છે, આપણા સંવિધાનના 70 વર્ષ થઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે.

વડાપ્રધાને કહ્યું કે સંવિધાન દેશની એકતા, અખંડતા અને વિવિધતા સાથે જોડાયેલ છે. પાછલા દિવસોમાં તમામ પક્ષના નેતાઓને મળવાનો મોકો મળ્યો છે, જેમકે પાછલી વખત તમામ પક્ષોના સહયોગના લીધે ચાલી હતી એવું જ આ વખતે પણ થવાની આશા છે. દેશવાસીઓ માટે એક જાગૃતિની તક બની શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દા પર ખુલીને ચર્ચા ઇચ્છે છે, વાદ હોય, વિવાદ હોય કે તેની સાથે જ ગૃહની ચર્ચાને સમૃદ્ધ બનાવા યોગદાન આપો. દરેક સફળતા આખા ગૃહની છે અને તમામ સાંસદ તેના હકદાર છે. આ વખતે પણ સકારાત્મક અને સક્રિય સહયોગની આશા છે. આશા કરું છું કે દેશની વિકાસ યાત્રાને, દેશને ગતિ આપવામાં સફળ રહેશે. તમામ સાંસદોને શુભકામનાઓ આપતા તમામને ધન્યવાદ.