કોણ છે CJI સામે રામ જન્મભૂમિના નક્શા ફાડનાર વકીલ રાજીવ ધવન?

નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદને લઈને સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બુધવારે પાંચ જજની બેંચે આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. 40માં દિવસે એટલે કે, સુનાવણીના અંતિમ દિવસે સુનાવણી દરમ્યાન માહોલ ઘણો વ્યસ્ત રહયો. હિન્દુ મહાસભાના વકીલ તરફ રજૂ કરવામાં આવેલ રામ જન્મભૂમિનો નક્શો કોર્ટ રૂમમાં જ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી નાખ્યો. આ સમાચાર સામે આવતાની સાથે જ ચોતરફ આની ચર્ચા થવા લાગી. લોકોઆના વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. આવો જાણીએ કોણ છે રાજીવ ધવન?

રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે અને તેમણે લંડનથી વકીલાતનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત માનવાધિકાર કાર્યકર્તા અને ઈન્ટરનેશનલ કમિશન ઓફ જ્યૂરિસ્ટના કમિશ્નર પણ છે. ધવનનો શરુઆતનો અભ્યાસ અલાહાબાદમાં થયો. 1992માં મંડલ અને પછી 1994માં અયોધ્યા મામલે તેમના કામથી પ્રભાવિત થઈને તેમને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યાં.

1943માં અવિભાજિત ભારત (અત્યારનું પાકિસ્તા)માં તેમનો જન્મ થયો હતો. કાયદાકીય મામલાઓમાં ઘણા સક્રિય રહે છે. જજોની વચ્ચે રાજીવ ધવનની સારી સાખ છે. તેમના નાના ભાઈ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ રહી ચૂક્યા છે. તે ઈન્ડિયન લો ઈન્સ્ટીટ્યૂટના પણ પ્રોફેસર છે.

રાજીવના પિતા શાંતિ સ્વરૂપ ધવન ન્યાયધીશ, યૂકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લો કમીશનના સભ્ય રહી ચૂક્યા છે. ધવનએ 1992માં વકીલાત શરુ કરી, તેમણે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે વકીલાતનું કામ શીખ્યું હતું.

મહત્વનું છે કે, બુધવારે સુનાવણી પૂરી થયા પહેલા CJI રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય પીઠે 17 ઓક્ટોબર સુધીમાં સમાપ્ત થનારા જમીન વિવાદ મામલે તમામ દલીલો માંગી હતી. સુનાવણી પૂર્ણ થતાંની સાથે અયોધ્યા પ્રશાસને આગામી 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દીધી છે.