યુપી ગવર્નરે ટીબીના રોગથી પીડાતી બાળકીને લીધી દત્તક

લખનઉઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન યુપીના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલે ટીબીના રોગથી પીડાતી બાળકીને દત્તક લઈને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. રાજ્યપાલના આ કાર્યથી પ્રભાવિત થઈને રાજભવનના સ્ટાફે ટીબીથી પીડાતી 21 જેટલી બાળકીઓને દત્તક લીધી છે. રાજ્યપાલ અને રાજભવનનો સ્ટાફ આ બાળકીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેમને પોષણ આહાર મળે તેની કાળજી લેશે જેથી કરીને તેઓ સારા આરોગ્ય સાથે જીવન જીવી શકે.
આનંદીબેન પટેલે જણાવ્યું કે, આ બાળકોને પોષણયુક્ત ખોરાક, સારું શિક્ષણ અને દવાઓ મળી રહે તે જોવાની જવાબદારી સ્ટાફની છે. આ તમામ બાળકો રાજભવનની આસપાસનાં વિસ્તારોનાં છે. રાજભવનનાં એક અધિકારીએ જણાવ્યું કે, રાજભવનની આસપાસ રહેતા બાળકોની દેખરેખથી આ પ્રયાસની શરૂઆત કરવી જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિશ્ચય કર્યો છે કે, 2025નાં વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવું. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને રાજભવને પહેલ કરી છે અને ટીબીથી પિડાતા બાળકોને દત્તક લેવાની શરૂઆત કરી છે. આનંદીબેન પટેલે જણાવ્યું કે, “બાળકોને દત્તક લેવા એ ઉપકાર નથી એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે.

જે લોકો અમીર છે તેમણે થોડા પૈસા ગરીબો માટે આપવા જોઇએ. આ એક નાનું પગલું છે પણ આમ કરવાથી એક મોટું ધ્યેય પ્રાપ્ત કરી શકીશું,” તેમણે જણાવ્યું કે, સરકાર રાજ્યને દરેક ખૂણે પહોંચી ન શકે, એટલા માટે, દરેક સામાન્ય માણસની પણ એ જવાબદારી છે કે ગરીબ માણસોને મદદ કરે. સમાજનાં છેવાડાનાં માણસો સરકારની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કેમ કે, તેમને તેની ખબર જ હોતી નથી. આથી આપણી એ જવાબદારી છે કે, ગરીબો માટેની યોજનાનો લાભ ગરીબોને મળે,”.