કરૂણાનિધિના અંતિમ દર્શનઃ રાજાજી હોલ ખાતે ધક્કામુક્કીમાં બે જણનાં મરણ, અનેક ઘાયલ

ચેન્નાઈ – ગઈ કાલે અવસાન પામેલા ડીએમકે પાર્ટીના પ્રમુખ અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરૂણાનિધિના પાર્થિવ શરીરને અત્રે જ્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે તે રાજાજી હોલ ખાતે થયેલી ધક્કામુક્કીમાં બે જણનાં મરણ થયા છે અને બીજાં અનેક જણ ઘાયલ થયા છે.

રાજાજી હોલ ખાતે આજે સવારથી જ લોકોની અપાર ભીડ જામી હતી. બપોરે ભીડ ખૂબ વધી ગઈ હતી. રાજાજી હોલની બહારના પ્રવેશદ્વાર ખાતે પોલીસનો કડક બંદોબસ્ત હતો તે છતાં ઘણા લોકો દીવાલ પરથી કૂદીને રાજાજી હોલમાં ઘૂસ્યા હતા.

માર્યા ગયેલા બેમાંના એક જણને એમજીઆર નગરના શેનબાગમ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે એની વય 60 વર્ષ છે. બીજા મૃતકની ઓળખ હજી સુધી જાણવા મળી નથી.

ઈજાગ્રસ્તોને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.