નોટબંધીથી રિયલ એસ્ટેટ સેક્ટરને ફાયદો થશે: જૂનિયર ટ્રમ્પ

નવી દિલ્હી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર હાલમાં એક સપ્તાહના ભારત પ્રવાસે આવ્યા છે. તેમના ભારત પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના રિયલ એસ્ટેટ કારોબારને ભારતમાં પ્રોત્સાહન આપવાનો છે. જે અંતર્ગત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દિલ્હી-NCRમાં 250 યૂનિટના ટ્રમ્પ ટાવરને લૉન્ચ કરવામાં આવ્યું હતું. અહીં એક ફ્લેટની સરેરાશ કીમત 7.5 કરોડ રુપિયા છે.એક સમાચાર ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જૂનિયર ટ્રમ્પે કહ્યું કે, ‘હાલમાં મારું ફોકસ ભારતમાં રિયલ એસ્ટેટના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે’. પીએમ મોદીના નોટબંધીના નિર્ણયના વખાણ કરતાં જૂનિયર ટ્રમ્પે કહ્યું કે, નોટબંધીના નિર્ણયથી હાલમાં દેખાઈ રહેલું નુકસાન એ ટૂંકા ગાળાનું છે પરંતુ લાંબાગાળે નોટબંધીનો નિર્ણય રિયલ એસ્ટેટ વ્યવસાયને ફાયદો કરાવશે.

નોટબંધીથી કાબૂમાં આવશે ‘મોટી માછલીઓ’

જૂનિયર ટ્રમ્પે કહ્યું કે, નોટબંધીને કારણે ભારતનું માર્કેટ થોડા સમય માટે પ્રભાવિત થયું હતું. પરંતુ લાંબાગાળે તેને ફાયદો થશે તેમાં કોઈ શંકા નથી. વધુમાં તેમણે કહ્યું કે, પહેલાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેવી રીતે વહીવટ થતાં તે સૌ કોઈ જાણે છે. સાઈટ પર મકાનની કીમત અલગ અને વાસ્તવિક કીમત અલગ. જેથી મધ્યમ વર્ગના ગ્રાહકો પરેશાન થતા. પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જીતવા વહીવટમાં પારદર્શિતા લાવવી પડશે. નોટબંધીથી રિયલ એસ્ટેટ સેક્ટરની ‘મોટી માછલીઓ’ બેનકાબ થશે જે ગ્રાહકોનો ફાયદો પોતે લઈ જતા હતા.