મમતાના મતે બંગાળની પેટાચૂંટણી એ ભાજપના ઘમંડનું પરિણામ

પશ્ચિમ બંગાળઃ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીની ત્રણેય બેઠકો પર જીત મેળવી રહી છે. આમાંની બે બેઠકો એવી છે કે જ્યાં છેલ્લાં 20 વર્ષથી ટીએમસી જીત મેળવી શકી ન હતી. આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ તેના ઘમંડનું પરિણામ ભોગવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘અહંકારની રાજનીતિ ચાલશે નહીં. લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે.. ટીએમસીએ ત્રણ દાયકા બાદ ખડગપુર સદર અને કાલીયાગંજ બેઠકો જીતી લીધી છે. કાલિયાગંજ બેઠક પર ટીએમસીના તપન દેબે વિજય મેળવ્યો છે. તપને ભાજપના કમલચંદ્ર સરકારને 2 હજારથી વધુ મતોથી હરાવ્યાં છે. તે જ સમયે, કરીમપુર બેઠક પર ટીએમસી આગળ છે.

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી ગુરુવારે સવારે આઠ વાગ્યે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. ખરગપુર સદર, કાલીયાગંજ અને કરીમપુર – વિધાનસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીઓમાં 18 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. કુલ સાત લાખથી વધુ મતદારોમાંથી 75.34 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો.

કોંગ્રેસ-માકાપા, તૃણમૂલ અને ભાજપ વચ્ચે જોરદાર ચૂંટણી લડત જામી હતી. મહુઆ મોઇત્રાએ કૃષ્ણનગર લોકસભા બેઠક જીત્યાં બાદ કરીમપુર બેઠક ખાલી હતી. ખરગપુર સદરના ધારાસભ્યે પણ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યાં બાદ આ બેઠક ખાલી પડી હતી, જ્યારે કાલીયાગંજના કોંગ્રેસના ધારાસભ્ય પ્રમથનાથ રેના અવસાન પછી અહીં પેટાચૂંટણી થવી જરૂરી હતી. પશ્ચિમ બંગાળમાં ત્રણ વર્ષ બાદ આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને સીપીઆઇ (એમ) એક સાથે લડ્યાં છે.