ચાર રાજ્યોમાં વાવાઝોડા, વીજળી પડવાથી વ્યાપક વિનાશ; 41નાં મરણ

નવી દિલ્હી – ગઈ કાલે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળની ડમરી ઉડવાથી અને વીજળીના કડાકા ભડાકા અને ભારે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ ઓછામાં ઓછા 41 જણનો ભોગ લીધો છે. ઠેર ઠેર ભારે વિનાશ સર્જાયો છે.

કોલકાતામાં ભારે વરસાદથી પાણી ભરાયા

ઉત્તર પ્રદેશમાં 18 જણ માર્યા ગયા છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ચાર બાળકો સહિત 12 જણનાં મરણ થયા છે તો આંધ્ર પ્રદેશમાં 9 અને દિલ્હીમાં બે જણનાં જાન ગયા છે. આંધ્ર પ્રદેશમાં, વીજળી પડવાની ઘટનાઓમાં 9 જણ માર્યા ગયા છે.

દિલ્હીમાં, રવિવારે સાંજે લગભગ 4.44 વાગ્યે જે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 109 કિ.મી.ની હતી.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક ઠેકાણે તેજ ગતિ સાથે પવન ફૂંકાતા અનેક ઝાડ ઉખડી ગયા છે. માર્ગ, રેલવે અને વિમાન સેવાને માઠી અસર પહોંચી છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, કેરળ, તામિલ નાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું ફૂંકાયું હતું.

ધૂળના વાવાઝોડાની આફતે છેલ્લા 10 દિવસથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, તેલંગાણામાં હાહાકાર મચાવ્યો છે અને 134 જણના ભોગ લીધા છે તથા 400થી વધુ લોકો ઘાયલ થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, દેશના કેટલાક ભાગોમાં વાવાઝોડાને કારણે જે જાનહાનિ થઈ છે એનાથી પોતે દુઃખી થયા છે અને મૃતકોનાં પરિવારજનો પ્રતિ દિલસોજી વ્યક્ત કરે છે. જે લોકો ઈજા પામ્યાં છે તેઓ ઝડપથી સાજા થઈ જાય એવી પોતે પ્રાર્થના કરે છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું છે કે તેઓ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો તમામ પ્રકારની સહાયતા પૂરી પાડે.

દિલ્હી

દિલ્હી

દિલ્હી

દિલ્હી

કોલકાતા

કોલકાતા

કોલકાતા

દિલ્હી

દિલ્હી