પાણીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલ આંખઃ કેન્દ્ર અને દિલ્હી સરકારને ઝાટકી

નવી દિલ્હી– સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર બન્નેની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે જળ પ્રદૂષણના મામલામાં સુઓમોટો લેતા કહ્યું છે કે રાજધાની દિલ્હીમાં હાલત નરક જેવી છે. ખુબ જ નારાજ કોર્ટે કહી દીધું છે કે શ્વાસ રુંધાવીને મારી નાંખવા કરતાં બધાને એક સાથે વિસ્ફોટકથી ઉડાવી દો. એટલું જ નહી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોટિસ પાઠવી સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે પીવાનું શુદ્ધ પાણી અને ચોખ્ખી હવા નથી આપી શકતા તો લોકોને વળતર આપવા માટે શા માટે રાજ્યોની જવાબદારી નક્કી કરતા નથી. બીએસઆઈએ દેશના 21 શહેરોના પાણીના નમુનાની તપાસ પછી દિલ્હીને સુસ્ત જાહેર કરવામાં આવી હતી. આ રીપોર્ટ પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર આમનેસામને આવી ગઈ હતી.

સુપ્રીમ કોર્ટે કડક ભાષામાં ટિપ્પણી કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે લોકો ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેના કરતા વધારે સારુ એ છે કે તેમને એક સાથે જ મારી નાંખવામાં આવે. 15 બોરીમાં વિસ્ફોટકો લઈ આવવો અને ઉડા દો સબકો… લોકોને આ રીતે ઘૂંટણિયે પડાય ખરા.  જેવી રીતે અહીંયા બ્લેમ ગેમ ચાલી રહી છે. મને આર્શ્ચય છે, કોર્ટે જળ પ્રદૂષણ મામલે સંજ્ઞાન લેતા એમ કહ્યું છે કે કેન્દ્ર અન રાજ્ય બન્ને તપાસ કરીને દિલ્હીને પીવા યોગ્ય પાણી છે કે નહી તેનો આંકડા સાથે રીપોર્ટ કોર્ટ સામે રજૂ કરો.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું છે કે દિલ્હીની હાલત નરકથી વધુ ખરાબ છે. આપની નજરમાં કોઈના જીવની કીમત જ નથી. આપ લોકો પાસેથી તેની કીમત લેવા ઈચ્છો છો. આપને દિલ્હીની ખુરશી પર રહેવાનો અધિકારી નથી. ભારતમાં લોકોના જીવન આટલા સસ્તા નથી. તેની કીમત આપે ચૂકવવી પડશે.

દિલ્હીના ચીફ સેક્રેટરીએ કોર્ટને કહ્યું કે દિલ્હી સરકાર અને કેન્દ્ર બે પાવર સેન્ટર હોવાને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. કોર્ટે કહ્યું છે અંદરના મતભેદને અલગ રાખીને અને સાથે મળીને પ્રદૂષણને દૂર કરવા માટેની યોજના બનાવો. કોર્ટે કહ્યું છે કે 10 દિવસમાં શહેરમાં એર પ્યોરિફાયર લગાવવાની યોજનાનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કરો.

પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને દિલ્હીમાં ચાલી રહેલી ફેકટરીઓ પરનો એક રીપોર્ટ રજૂ કરવા કહેવાયું છે. જેમાં તેની અસરોની વિગતો આપવામાં આવે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે સીપીસીબીને દિલ્હીની ફેકટરીઓ પર રીપોર્ટ આપવા કહ્યું છે.