મેડિકલ એડમિશનમાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટ ગંભીર, કહી આ વાત

નવી દિલ્હી– શિક્ષણ પ્રણાલીની બગડતી જતી સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે, દર વર્ષે વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં કોઈના કોઈ પ્રકારની રાહત માટે આવે છે. સરકારે વિદ્યાર્થીઓની દુર્દશા પર વિચાર કરવો જોઈએ. સરકાર આ વ્યવસ્થામાં સુધારો કેમ નથી કરતી. જો અમે આ સમયે કેટલાક આદેશો જાહેર કરશું તો આવા અન્ય વિદ્યાર્થીઓ છે જે પ્રભાવિત થશે.

જસ્ટિસ ઈન્દ્રુ મલ્હોત્રાએ કહ્યું કે, મેરિટ ક્રમમાં તમામ વિદ્યાર્થીઓને તક મળવી જોઈએ. મેડિકલ તેમજ ડેન્ટલ પીજી એડમિશનમાં સામાન્ય વર્ગ માટે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને બીજી વખત કાઉન્સલિંગ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ કાઉન્સલિંગ મેન્યુઅલી હશે અને સરકાર આ અંગેની જાહેરાત પણ બહાર પાડશે. એડમિશન પ્રક્રિયા 14 જૂન સુધીમાં પૂર્ણ થવી જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટે એડમિશન પ્રક્રિયાને 4 જૂન સુધી લંબાવી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ વર્ષે EWS ક્વોટા લાગુ નથી થાય. 25 વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની અસર થઈ અને મહારાષ્ટ્રની સરકારને પણ ઝટકો લાગ્યો. તો બીજી તરફ મહારાષ્ટ્રની સરકારે EWS માટે 10 ટકા ક્વોટાને પડકાર ફેંકતી અરજીને ફગાવી દેવાની માગ કરી હતી. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, કોઈ પણ વિરોધાભાસ પ્રવેશની સમગ્ર પક્રિયામાં અવરોધ ઉભો કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એડમિશન પ્રક્રિયા નવેમ્બર 2018માં શરુ થઈ જ્યારે EWS અનામત જાન્યુઆરીથી લાગુ થયું.

 

મહારાષ્ટ્ર સરકારે સાત માર્ચના રોજ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું. એડમિશન પ્રક્રિયા શરુ થયા પછી આને લાગુ ન કરી શકાય સુપ્રીમ કોર્ટે નોટિફિકેશનને અટકાવી દીધુ હતું. હકીકતમાં જનહિત અભિયાન નામના સંગઠને મહારાષ્ટ્રમાં મેડિકલ અને ડેન્ટલ પીજી એડમિશનમાં સામાન્ય વર્ગના આર્થિકરીતે નબળા વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવાનો વિરોધ કર્યો છે અને તેને રદ કરવાની માગ કરી. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં મહારાષ્ટ્ર સરકાર પાસેથી તેમના પક્ષ અંગે પુછ્યું હતું.