સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ કરશે અયોધ્યા કેસ પર આગામી સુનાવણી

નવી દિલ્હી- અયોધ્યા રામ જન્મભૂમિ કેસની આગામી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 13મી જુલાઈની તારીખ નક્કી કરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની ત્રણ સદસ્યોની બેન્ચ સમક્ષ મુસ્લિમ પક્ષવતી દલીલ રજૂ કરતાં એડવોકેટ રાજીવ ધવને જણાવ્યું કે, ‘મસ્જિદોને મનોરંજન માટે તૈયાર કરવામાં આવતી નથી. અનેક લોકો ત્યાં નમાઝ અદા કરવા આવે છે. શું તેને ધર્મની આવશ્યક પ્રથા તરીકે ગણવી જોઈએ નહીં’?આ પહેલા 17 મેના રોજ સુનાવણી દરમિયાન હિન્દુ સંગઠનોએ દલીલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘બાબરી મસ્જિદ માટે કોઈ વિશેષ સ્થાનનું અથવા જગ્યાનું કોઈ મહત્વ નથી પરંતુ રામ જન્મસ્થળનું ધાર્મિક મહત્વ છે અને તે હિન્દુઓ માટે પણ આસ્થાનું પ્રતિક છે. જેથી રામ જન્મભૂમિને સ્થાનાંતરિત કરી શકાય નહીં. હિન્દુ સંગઠનની દલિલના જવાબમાં મુસ્લિમ પક્ષ તરફથી એડવોકેટ રાજીવ ધવને કોર્ટ સમક્ષ ઉપરોક્ત દલીલ રજૂ કરી હતી.