દિલ્હીમાં દીવાળી ફટાકડાં વગર ઉજવોઃ SC આદેશ

નવી દિલ્હીઃ દીવાળીના તહેવારમાં ફટાકડાથી થતા પ્રદૂષણને જોતાં સુપ્રિમ કોર્ટે 1 નવેમ્બર સુધી દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટને જણાવ્યું હતુ કે 12 સપ્ટેમ્બરના પોતાના આદેશને પાછો લેવામાં આવે જેમાં કોર્ટે શરતો સાથે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાઓના વેચાણ માટે લાગેલી મનાઇ હટાવી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું કે દીવાળી બાદ તપાસ કરવામાં આવશે કે ફટાકડા પર લાગેલા પ્રતિબંધ બાદ પણ વાતાવરણની સ્થિતિમાં સુધારો આવ્યો છે કે નહીં. કોર્ટે જણાવ્યું કે 1 નવેમ્બર બાદ ફટાકડાનું વેચાણ ફરીથી શરૂ કરી શકાય છે. કોર્ટ દ્વારા ફટાકડાના વેપારીઓના જૂના અને નવા બંને લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પરનો પ્રતિબંધ કેટલીક શરતો સાથે હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાના વેચાણ માટે પોલિસની દેખરેખમાં લાયસન્સ આપવામાં આવશે. વધારેમાં વધારે 500 અસ્થાયી લાયસન્સ જ આપવામાં આવશે. ત્યારે કોર્ટ દ્વારા હવે સંપૂર્ણ વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.