શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીને ઉગ્રવાદીઓએ ઠાર કર્યા

શ્રીનગર – કશ્મીરના સિનિયર પત્રકાર તથા અહીંના જાણીતા અખબાર ‘રાઈઝિંગ કશ્મીર’ના વડા તંત્રી શુજાત બુખારીને આજે ઉગ્રવાદીઓએ એમની ઓફિસની બહાર ઠાર માર્યા છે.

જમ્મુ અને કશ્મીર રાજ્યના પોલીસ વડા એસ.પી. વૈદે કહ્યું કે લગભગ સાંજે 7.15 વાગ્યે ઈફ્તારનો સમય હતો ત્યારે બુખારી પ્રેસ એન્ક્લેવમાં એમની ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને એમની કારમાં બેસવા જતા હતા ત્યાં જ ઉગ્રવાદીઓએ એમની પર હુમલો કર્યો હતો.

મોટરસાઈકલ પર સવાર થયેલા ઉગ્રવાદીઓ ત્યાં ધસી ગયા હતા અને બુખારી તથા એમના અંગરક્ષકો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં બુખારી અને એક અંગરક્ષકનું મરણ થયું છે જ્યારે એક અન્ય અંગરક્ષક ગંભીર રીતે ઘાયલ થયો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે બુખારીની હત્યા અંગે આઘાત વ્યક્ત કર્યો છે.