સુનંદા પુષ્કર કેસને લઈને કાયદાકીય ટીમના સંપર્કમાં છું: શશી થરુર

નવી દિલ્હી- સુનંદા પુષ્કર અપમૃત્યુ કેસમાં કોંગ્રેસ પાર્ટીના નેતા શશી થરુરને આરોપી બનાવવાના નિર્ણય બાદ શશી થરુર તેમની કાયદાકીય ટીમ સાથે સક્રિય થઈ ગયા છે. આ અંગે શશી થરુરે જણાવ્યું કે, પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની વિગતો પર તેમના કાયદાકીય સલાહકાર કામ કરી રહ્યાં છે. મહત્વનું છે કે, શશી થરુરને તેમની પત્ની સુનંદા પુષ્કરના અપમૃત્યુ કેસમાં દિલ્હીની અદાલતે આરોપી બનાવવાનો નિર્ણય આપ્યો છે.શશી થરુરના કાયદાકીય સલાહકાર વિકાસ પાહવા અને તેમની ટીમે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના કોર્ટમાં કેસ સંબંધિત વિગતોની તપાસ કરી હતી. કોંગ્રેસ સાંસદ શશી થરુરે એમ પણ કહ્યું હતું કે, તેમણે આ કેસ સંબંધિત જરુરી વિગતો મેળવી છે અને તેઓ કેસ સાથે જોડાયેલી દરેક કડી પર ધ્યાન રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શશી થરુરના પત્ની સુનંદા પુષ્કરના અપમૃત્યુ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશી થરુરને આરોપી ગણાવ્યા છે. કોર્ટે સમન જારી કરીને આગામી 7 જુલાઈના રોજ થરુરને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, સુનંદા પુષ્કરનો મૃતદેહ દિલ્હીની ચાણક્યપુરીમાં આવેલી જાણીતી ફાઈવ સ્ટાર હોટલના રુમ નંબર 345માંથી મળી આવ્યો હતો. તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. પહેલા તો સુનંદા પુષ્કરના મૃત્યુને આત્મહત્યા તરીકે વર્ણવવામાં આવ્યું હતું. પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા પછી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.