મહારાષ્ટ્રમાં રાતોરાત તખ્તા પલટઃ જાણો શરદ પવારે શું કહ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં આવી રહેલી મુખ્યમંત્રીની ખુરશી ભાજપે રાતો-રાત સર્જિકલ સ્ટ્રાઈક કરીને લઈ લીધી છે. અચંબિત કરનારી વાત તો એ છે કે આ વાતની શંકા ન તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રહી હશે અને ન તો કોંગ્રેસ ને. જો કે ત્યાં સુધી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપના પણ ઘણા નેતાઓને ખ્યાલ નહી રહ્યો હોય કે મહારાષ્ટ્રમાં આ પ્રકારે તખ્તો પલટાઈ જશે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લેતા જ રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ચૂચના જાહેર કરી દેવામાં આવી.

પરંતુ  આ પ્રક્રીયાની પણ કોઈપણ વ્યક્તિ ખબર સુદ્ધા ન પડી. હકીકતમાં આ મોટા રાજકીય ઘટનાક્રમના ઘણા અર્થ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો મળી છે. ભાજપ અને શિવસેનાએ સાથે મળીને બહુમતીનો 145 નો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ કરી જે અનુસાર અઢી-અઢી વર્ષ સરકાર બનાવવાનું મોડલ હતું. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે સમજૂતી આ ફોર્મ્યુલા પર જ થઈ હતી પરંતુ ભાજપે દાવો કર્યો કે આવી કોઈ સમજૂતી થઈ નથી. આને લઈને મતભેદ એટલો વધી ગયો કે બંન્ને પાર્ટીઓની 30 વર્ષ જૂની મિત્રતા તૂટી ગઈ.

પ્રાપ્ત વિગતો અનુસાર શરદ પવારે કહ્યું કે ભાજપને સમર્થન આપવું તે અજિત પવારનો પોતાનો પર્સનલ નિર્ણય છે. એનસીપી આમાં જોડાયેલી નથી. શરદ પવારે કહ્યું કે, હું આ નિર્ણયનું કોઈપણ રીતે સમર્થન કરતો નથી.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આદરણીય મોદીજી અને અમિત શાહજીનો આભાર વ્યક્ત કરું છું. શિવસેનાએ જનાદેશને નકારતા અમારાથી અલગ થઈને સરકાર બનાવવાના પ્રયત્નો કર્યા. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર મળી એટલા માટે હું અજીત પવારનો આભાર વ્યક્ત કરું છું. અમને વિશ્વાસ છે કે અમે સ્થિર સરકાર આપી શકીશું.

અજિત પવારે કહ્યું કે, પરિણામો આવ્યા બાદ કોઈ સરકાર બનાવી ન શક્યું. મહારાષ્ટ્રમાં ઘણી સમસ્યાઓ છે. અમે નિર્ણય લીધો અને પછી સ્થિર સરકાર બનાવી.