માયાવતીને દલિતોની ચિંતા હોય તો NDAમાં જોડાય: રામદાસ અઠાવલે

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશ લોકસભાની બે બેઠક માટેની પેટા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનને કારણે BJPને મળેલા પરાજયની સ્પષ્ટ અસર જોવા મળી છે. BJPની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલેએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં તેમણે બસપા સુપ્રિમો માયાવતીને NDAમાં જોડાઈ જવા નિમંત્રણ આપ્યું છે.લખનઉમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરવા દરમિયાન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યપ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યું કે, જો માયાવતીને દલિતોની ખરેખર ચિંતા હોય તો તેમણે NDAનું ઘટક દળ બની જવું જોઈએ.

દલિતોના વિકાસનો રજૂ કર્યો તર્ક

માયાવતીના NDAના ઘટક દળ બનવા પાછળ રામદાસ અઠાવલેએ દલિતોના વિકાસનો તર્ક રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘હું ઈચ્છું છું કે, માયાવતી BJP સાથે ગઠબંધન કરે’. જો માયાવતી સાચાઅર્થમાં દલિતોનું હિત ઈચ્છતા હોય તો તેમણે NDAમાં જોડાઈ જવું જોઈએ. જેથી હું, માયાવતીજી અને રામવિલાસ પાસવાનજી મળીને કેન્દ્ર સરકાર પાસેથી દલિત કલ્યાણ માટે વધુ ફંડ લઈ શકીએ. અને દલિતોના વિકાસ માટે કાર્ય કરી શકીએ.