જેલમાંથી બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની, દીકરીના લગ્ન માટે મળ્યા પેરોલ…

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે દોષીત નલિન શ્રીહરન જેલમાંથી બહાર આવી ગઈ છે. તેને મદ્રાસ હાઈકોર્ટથી 30 દિવસના પેરોલ મળ્યા છે. ત્યારબાદ ગુરુવારના રોજ તે જેલમાંથી બહાર આવી ગઈ છે. નલિનીએ પોતાની દિકરીના લગ્નની તૈયારી માટે મદ્રાસ હાઈકોર્ટ પાસેથી 6 મહીનાની પેરોલની માંગ કરી હતી.

હકીકતમાં રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીત નલિની આજીવન કેદની સજા ભોગવી રહી છે અને ખૂબ લાંબા સમયથી જેલમાં બંધ છે. દિકરીના લગ્ન માટે તેણે પેરોલ માંગ્યા હતા. તો હાઈકોર્ટે તેની પેરોલની માંગને 5 જુલાઈના રોજ સ્વિકારી હતી. જો કે તેને માત્ર 30 દિવસ માટે જ પેરોલ મળી શકી છે. નલિનીની દિકરી લંડનમાં રહે છે. પેરોલ માટે નલિનીએ વ્યક્તિગત રુપે પોતાના મામલાની પૈરવી કરી હતી. નલિનીએ પોતાની દલીલમાં કહ્યું કે દરેક દોષીત 2 વર્ષની જેલની સજા બાદ એક મહિનાની સામાન્ય રજાનો હકદાર હોય છે અને તેણે છેલ્લા 27 વર્ષમાં એકવાર પણ પેરોલ લીધી નથી.

તો આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે નલિની શ્રીહરનની એક અરજી ફગાવી પણ હતી. નલિનીએ એક અરજીમાં તમિલનાડુ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને દોષિતોને છોડવાના નિર્દેશ આપવાની માંગ કરી હતી. શ્રીહરને તમિલનાડુ સરકારના 2018ના નિર્ણયના આધાર પર તમામ દોષીતોને છોડવાની માંગ કરી હતી. તો હાઈકોર્ટે શ્રીહરનની અરજી એ કહેતા ફગાવી હતી કે તે રાજ્યપાલને કાર્યવાહી કરવાનો નિર્દેશ ન આપી શકે.

આપને જણાવી દઈએ કે ચેન્નઈ પાસે એક ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીને મળવા દરમિયાન લિટ્ટે સંગઠનની આત્મઘાતી હુમલાવર મહિલાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. ત્યારબાદ તમામ સાત દોષીત 1991થી જેલમાં કેદ છે. ત્યાં જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે તમિલનાડુ સરકારે આજીવન કેદની સજા કાપી રહેલા 7 દોષીતોને છોડવા માટે મદ્રાસ હાઈકોર્ટને આશ્વાસન આપ્યું હતું. ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું હતું કે સંવિધાનની ધારા 161 અંતર્ગત સાતેય લોકોને છોડવાનો આગ્રહ કરવામાં આવી ચૂક્યો છે.