નવી દિલ્હી – ભારતીય રેલવેએ આવતી 1 સપ્ટેંબરથી તેના ઈલેક્ટ્રોનિક-ટિકિટ પ્રવાસીઓને આપવામાં આવતી મફત ટ્રાવેલ ઈન્શ્યૂરન્સ સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
એક સિનિયર રેલવે અધિકારીએ જણાવ્યું છે કે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અપાતી આ સુવિધા હવેથી વૈકલ્પિક રખાશે.
ટિકિટ બુક કરાવતી વખતે પ્રવાસીઓને બે વિકલ્પ મળશે, ટ્રાવેલ ઈન્શ્યૂરન્સ જોઈએ છે કે નથી જોઈતો.
જોકે ટ્રાવેલ ઈન્શ્યૂરન્સ માટેની રકમ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.
ડિજિટલ સોદાઓને ઉત્તેજન આપવા માટે રેલવેની IRCTC કંપનીએ 2017ના ડિસેંબરથી પ્રવાસીઓને મફત ટ્રાવેલ વીમાની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું. આ સુવિધામાં જો કોઈ પ્રવાસીનું ટ્રેન સફર દરમિયાન મૃત્યુ થાય તો મહત્ત્તમ રૂ. 10 લાખનું રીસ્ક ક્વર અપાતું હતું, જ્યારે કોઈ અકસ્માતમાં અપંગતા આવી જાય તો વ્યક્તિને રૂ. 7.5 લાખ અને ઈજાગ્રસ્ત થાય તો રૂ. બે લાખનું રીસ્ક કવર હતું.
ટ્રાવેલ વીમા માટે ચાર્જ કરાનાર રકમ વિશેનો ઓર્ડર અમુક દિવસોમાં બહાર પાડવામાં આવે એવી ધારણા છે.