કર્ણાટક ચૂંટણી: BJPના દાગી ઉમેદવારોને લઈને રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર

બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જેમ-જેમ આગળ વધી રહ્યો છે, આરોપ-પ્રત્યારોપની ગતિ પણ વધુ તેજ થઈ ગઈ છે. ખાસકરીને મુખ્ય પ્રતિદ્વંદ્વી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમ સીમાએ પહોંચ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેડ્ડી ભાઈઓ અને ભ્રષ્ટાચાર મુદ્દાને લઈને ફરી એકવાર પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પીએમ મોદીની રેલી પહેલાં ટ્વીટ કરીને તેમને અનેક સવાલો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘મોદીજી તમે ઘણું બોલો છો પણ સમસ્યા એ છે કે, તમારા કહેવા અને કરવામાં મોટો તફાવત છે’. રાહુલ ગાંધીએ ટ્વીટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વધુમાં રાહુલ ગાંધીએ તેના ટ્વીટમાં લખ્યું કે, ‘મોદીજી તમારા કર્ણાટકના ઉમેદવારોની હકીકતો આ વીડિયોમાં છે’.

રાહુલ ગાંધીએ કર્ણાટકના ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બી.એસ. યેદુરપ્પા અને બીજા ઉમેદવારો ઉપર ભ્રષ્ટાચારના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સમગ્ર પ્રકરણને ‘કર્ણાટક મોસ્ટ વોન્ટેડ’ ગણાવવું જોઈએ. રાહુલ ગાંધીએ તેના વીડિયોમાં ભાજપના ઉમેદવારોના નામ ગણાવ્યા અને તેમના ઉપર લાગેલા કેસ અંગે પણ જણાવ્યું.