માફી મારે નહીં, મોદીએ માગવી જોઈએઃ રાહુલ ગાંધીનો ભાજપને જવાબ

નવી દિલ્હી: લોકસભામાં રેપ ઈન ઇન્ડિયા નિવેદન મામલે ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવી માગણી બાદ રાહુલે વળતી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હું કોઈની માફી નહીં માગુ.

તેમણે ફરી એકવાર મોદી અને શાહ પર હુમલો કરતા કહ્યું કે તેમણે નોર્થ-ઇસ્ટને સળગાવ્યું છે. આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે મને  નિશાન બનાવે છે. જ્યારે ખુદ મોદી પણ દિલ્હીને રેપ કેપિટલ ગણાવી ચૂક્યા છે. આ વિડીયો મેં ટ્વીટર પર શેર કર્યો છે જેથી આખો દેશ જોઈ શકે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે માફી માગવાની કોઈ વાત જ નથી. આ મુદ્દે હું કોઈ માફી માગીશ નહીં. માફી તો મોદી અને શાહે માગવી જોઈએ. તેમણે દેશના પૂર્વોત્તરને સળગાવ્યો છે. આ સાથે જ હું તેમને યાદ અપાવવા માગીશ કે કેટલાક વર્ષ પહેલા મોદીએ પણ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું.

રાહુલે ત્યાર બાદ ટ્વિટર પર એક ટ્વિટ કરીને મોદી-શાહ પર નિશાન સાધતા એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ 3 કારણે મોદીએ માફી માગવી જોઈએ. દેશના પૂર્વોત્તર રાજ્યોને સળગાવ્યા, દેશની અર્થવ્યવસ્થાનો નાશ કર્યો, તેમજ આ જે ક્લિપ જોડું છું તેના માટે પણ મોદીએ માફી માગવી જોઈએ..

ઉન્નાવ ઘટનાનો આપ્યો હવાલો

આ સાથે જ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ઉન્નાવ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં હિંસાનો માહોલ છે. આજે રઘુરામ રાજન મને મળ્યા. તેમણે કહ્યું કે હિન્દુસ્તાનની ખરી શક્તિ તેની અર્થ વ્યવસ્થા છે. આજે સમગ્ર દુનિયામાં ક્યાંય ભારતની આર્થિક તાકાતની વાત નથી થઈ રહી.