રાહુલ ગાંધી કેરળ પહોંચ્યા, રાહત શિબિરમાં જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે કેરળના ત્રિવેન્દ્રમ પહોંચ્યા હતા. અહીંયા શશિ થરુર સહિત અન્ય કેટલાક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધી કેરળમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા લોકો સાથે મુલાકાત કરવા કેરળના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ચેંગાનૂરમાં રીલીફ કેમ્પમાં આશ્રય લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી આજે ચેંગાનૂર સીવાય અંગામલી સહિત અન્ય વિસ્તારોનો પ્રવાસ કરશે. તો આ સાથે જ આવતીકાલે પણ રાહુલ ગાંધી કેરળના પૂર પ્રભાવિત અન્ય કેટલાક ક્ષેત્રોની મુલાકાત લેશે.

આજે રાહુલ ગાંધીએ કેરળ પહોંચતાની સાથે પૂરના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે કેરળમાં આવેલા ભયાનક પૂરે ત્યાં ખૂબ વિનાશ વેર્યો છે. કેરળમાં પૂરના કારણે હજારો એકર ખેતીલાયક જમીન નષ્ટ થઈ ગઈ છે તો આ સીવાય હજારો ઘરો પણ આ પૂરમાં બરબાદ થઈ ગયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં આવેલા પૂરને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાની અપીલ કરી છે. રાહુલે આ મુદ્દે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેરળ સાથે વડાપ્રધાન મોદી ભેદભાવ કરી રહ્યા છે.