મજાક ઉડાવનારાઓને ‘શિવભક્ત’ રાહુલ ગાંધીનો જડબાતોડ જવાબ; કૈલાશ યાત્રાનો વિડિયો શેર કર્યો

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમની કૈલાશ માનસરોવર યાત્રામાંથી માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આજે એક વિડિયો પોસ્ટ કર્યો છે.

આ વિડિયો એવા લોકોને જડબાતોડ જવાબ સમાન છે, જેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે રાહુલ ખરેખર માનસરોવરની યાત્રા પર ગયા છે ખરા? કે સર્ચ એન્જિન ગૂગલ પરથી જ યાત્રાની તસવીરો કોપી કરીને પોસ્ટ કરી દીધી છે?

રાહુલ ગાંધી કૈલાશ પર્વત અને માનસરોવરની 12-15 દિવસની યાત્રા પર ગયા છે. કૈલાશ પર્વત એ હિન્દુઓના ભગવાન શંકરનું ધામ મનાય છે.

વિડિયોમાં, રાહુલને એક કેમ્પમાં સાથી યાત્રાળુઓની સાથે વાતચીત કરતાં જોઈ શકાય છે. યાત્રામાં સામેલ થયેલા અન્ય કેટલાક લોકો સાથેની તસવીરોમાં પણ રાહુલ નજરે પડે છે.

કોંગ્રેસે ટ્વિટર પર જણાવ્યું છે કે રાહુલ હાલની યાત્રા દરમિયાન 34.31 કિ.મી. અંતર ચાલ્યા છે. તેઓ 463 મિનિટ (સાત કલાક, 43 મિનિટમાં) 46,000 ડગલાં ભરી ચૂક્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ રાહુલની આ યાત્રાને લગતી કેટલીક તસવીરો પહેલી જ વાર રિલીઝ કરી છે.

રાહુલે ગઈ 31 ઓગસ્ટથી એમની કૈલાશ માનસરોવરની યાત્રાનો આરંભ કર્યો હતો. ગયા એપ્રિલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે રાહુલ વિમાન પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે એમનું વિમાન અચાનક તીવ્રપણે ઉંચાઈ ગુમાવી બેઠું હતું. એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું હતું અને રાહુલ આબાદ રીતે બચી ગયા હતા. શંકર ભગવાનની દયાને કારણે જ પોતે બચી શક્યા હતા એવું રાહુલને લાગ્યું હતું અને ત્યારે જ એમણે નક્કી કર્યું હતું કે પોતે કૈલાશ માનસરોવરની યાત્રાએ જશે.

httpss://twitter.com/RahulGandhi/status/1037923511715680256

httpss://twitter.com/ANI/status/1037934982138920960