પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું મોટું એક્શનઃ અંકુશ રેખા પર ત્રાસવાદી અડ્ડાઓ પર 1000 કિલો બોમ્બ ઝીંક્યા

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની સંડોવણીને પગલે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ મોટું લશ્કરી પગલું ભર્યું છે. ગઈ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને કબજે કરેલા કશ્મીરમાં ઘૂસીને ત્યાં બોમ્બમારો કર્યો હતો. હવાઈ દળનના 12 મિરાજ-2000 વિમાનોએ અંકુશ રેખા પરના ત્રાસવાદી અડ્ડાઓ પર બોમ્બ ઝીંક્યા હતા અને અડ્ડાઓનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે.

આ જાણકારી હવાઈ દળના સૂત્રો તરફથી મળી છે.

હવાઈ દળના 12 મિરાજ-2000 જેટ વિમાનોએ ત્રાસવાદી કેમ્પ્સ પર હલ્લો કર્યો છે અને 1000 કિલો બોમ્બ ઝીંકીને અડ્ડાઓનો નાશ કરી દીધો છે.

આમ, ભારતે પુલવામા હુમલાનો જોરદાર રીતે બદલો લીધો છે.

પાકિસ્તાન લશ્કરે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. એણે દાવો કર્યો છે કે ભારતીય હવાઈ દળના વિમાનોએ અંકુશ રેખા પાર કરી હતી અને પાકિસ્તાની સીમાની અંદર બાલાકોટ નજીક બોમ્બ ફેંક્યો હતો.

ભારતીય હવાઈ દળના વિમાનોએ બાલાકોટ, મુઝફ્ફરાબાદ, ચાકોટી વિસ્તારોમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડાઓ પર બોમ્બનો વરસાદ વરસાવીને અડ્ડાઓને ખલાસ કરી નાખ્યા છે.