અટલજીના નામ પર રાખવામાં આવી શકે છે દિલ્હીના રામલીલા મેદાનનું નામ

નવી દિલ્હી- દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનને હવે અટલ બિહારી વાજપેયી રામલીલા મેદાન તરીકે ઓળખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચાઓ અને હોસ્પિટલોના નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવા વિચારણા કરી રહી છે.ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દ્વારા જારી કરાયેલા નિર્દેશો મુજબ, એવા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેનું નામ અટલજીના નામ પરથી રાખવામાં આવશે. આ યાદીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ પણ અટલજીના નામ પરથી રાખવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેને આગામી 30 ઓગસ્ટે સંસદની બેઠકમાં રજૂ કરવામાં આવશે.

ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આદેશ ગુપ્તાએ જણાવ્યું કે, અટલજી અને રામલીલા મેદાનનો જૂનો સંબંધ રહ્યો છે. અને આ કારણે પાંચ સદસ્યો રામલીલા મેદાનનું નામ અટલજીના નામ પરથી રાખવાની દરખાસ્ત લાવ્યા હતા. આ દરખાસ્તને આગામી 30 ઓગસ્ટે સંસદની બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવ સંસદમાં પાસ થયા બાદ ભવિષ્યમાં રામલીલા મેદાનને અટલ બિહારી વાજપેયી રામલીલા મેદાન તરીકે ઓળખવામાં આવશે.