પ્રિયંકા ગાંધીના દિલ્હીમાં ધરણાંઃ દેશભરમાં સ્ટુડન્સ યુનિયન જાગ્યા

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલા પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી પછી વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરું કર્યું છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસના અન્ય સિનિયર નેતાઓ સાથે ઈન્ડિયા ગેટ પર ધરણાં પર બેસી ગયા છે. તેમની સાથે કેસી વેણુગોપાલ, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, અહમદ પટેલ અને એકે એન્ટની પણ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશનો માહોલ ખરાબ થઈ ગયો છે. પોલીસ યુનિવર્સિટીમાં ઘૂસીને વિદ્યાર્થીઓની મારપીટ કરી રહી છે. સરકાર બંધારણ સાથે છેડછાડ કરી રહી છે, અમે સંવિધાન માટે લડશું.

પોલીસે રવિવારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. નાગરિકતા કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બાદ હિંસક પ્રદર્શન થયા હતા. જેમા બસોને આગ લગાવી દેવાઇ હતી. આ ઉપરાંત અસમ અને પશ્ચિમ બંગાળમાં વાહનોમાં આગ ચાંપવામાં આવી અને રેલવેની સંપત્તિને પણ નુકસાન પહોંચાડાયું.

પોલીસે જણાવ્યું કે, સ્થાનિક લોકોના હિંસક પ્રદર્શન બાદ પોલીસે તેમનો પીછો કર્યો અને કાર્યવાહી કરી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું. રવિવારે મોડી રાતે દિલ્હીની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ મુખ્યાલયની સામે પણ વિરોધ પ્રદર્શન કર્યું.

આજે વિપક્ષી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે પોલીસ એક્શન પર સવાલો ઉઠાવતા અમિત શાહ પર પણ પ્રહારો કર્યો. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર પોતે હિંસા અને ભાગલાની જનની બની ગઈ છે. સરકાર દેશમાં નફરત ફેલાવી રહી છે તેમજ દેશના યુવાઓને આગની ભઠ્ઠીમાં નાંખી રહી છે.