કરુણાનિધિ સાથે PMની મુલાકાત, દક્ષિણ ભારતમાં નવાં રાજકીય સમીકરણો?

ચેન્નાઈ- પીએમ મોદીના એક દિવસના દક્ષિણ ભારતના પ્રવાસે રાજકીય પંડિતોને વિચારતા કરી દીધાં છે. રાજકીય નિષ્ણાતો હવે દક્ષિણ ભારતમાં નવા સમીકરણો જોઈ રહ્યાં છે. પીએમ મોદી તેમના એક દિવસના ચેન્નાઈ પ્રવાસ દરમિયાન DMK ચીફ કરુણાનિધિને મળવા ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં ભાજપ અને AIADMKને સાથીદાર માનવામાં આવે છે, જ્યારે DMK પાર્ટીની છબી કેન્દ્ર સરકારની કટ્ટર આલોચક તરીકેની જોવા મળી છે. આવા સંજોગોમાં પીએમ મોદી અને કરુણાનિધિની મુલાકાત રાજકીય પંડિતો માટે આશ્ચર્યથી ઓછું નથી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કરુણાનિધિને પીએમ નિવાસસ્થાન આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીની મુલાકાત દરમિયાન કરુણાનિધિના પુત્ર અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ એમ. કે. સ્ટાલીન અને તેમની બહેન અને રાજ્યસભાના સાંસદ કનિમોજી પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યાં હતાં અને તેમને ઘરના દરવાજા સુધી સત્કાર સહિત મુકવા પણ આવ્યાં હતાં. બન્ને નેતાઓએ પીએમ મોદીને સાદર વિદાય આપી હતી.

આ પહેલાં વડાપ્રધાન મોદીએ તમિલનાડુના સીએમ પલાનીસ્વામી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે ચેન્નાઇ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમિલનાડુ સરકારને દરેક સંભવ મદદની ખાતરી આપી હતી.