દીવાળીએ વડાપ્રધાન મોદી જશે કેદારનાથ, પુન:ર્નિર્માણ કાર્યની કરશે સમીક્ષા

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના દિવસે કેદારનાથની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન પ્રવાસ પીએમ મોદી કેદારપુરીના પુન:ર્નિર્માણ કાર્ય અને પરિયોજનાની પ્રગતિની સમીક્ષા પણ કરશે.આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં આ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ સાત નવેમ્બરે દિવાળીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ આવશે. તેઓ બે કલાક મંદિર પરિસરમાં રોકાણ કરશે. જે દરમિયાન તેઓ કેદારનાથના પુન:ર્નિર્માણ પરિયોજનાની સમીક્ષા કરશે.

જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ તેમને સત્તાવાર રીતે વડાપ્રધાનના પ્રસ્તાવિત પ્રવાસની વિગતો મળી નથી. અહીં વડાપ્રધાન મોદી એક મ્યુઝિયમ અને દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળશે. જે પુન:ર્નિર્માણ કાર્યની પ્રગતિને ઉજાગર કરશે. આ ઉપરાંત પીએમ મોદી કેદારપુરી પુન:ર્નિર્માણ સાથે સંકળાયેલી કેટલીક પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.