PM મોદીને જાનથી મારવાની ધમકી, દિલ્હી પોલીસ કમિશનરને મળ્યો ઈમેલ

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી દિલ્હી પોલીસ કમિશનરને ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ધમકીભર્યા ઈમેલમાં PM મોદીને જાનથી મારવા માટે દિવસ અને મહિનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસે જણાવ્યું છે કે, આ ધમકાભર્યો ઈમેલ આસામના કોઈ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. ઈમેલ મળ્યા બાદ પોલીસ તેની તપાસમાં લાગી ગઈ છે. મહત્વનું છે કે, ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ શકમંદોની ધરપકડ બાદ નક્સલીઓ તરફથી PM મોદીની હત્યાનું કાવતરું રચાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ પહેલા જ્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સુરક્ષા વઘુ સઘન કરી દેવામાં આવી હતી. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશ પોલીસના લખનઉ કન્ટ્રોલ રુમથી નવી દિલ્હીના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનના જીવને જોખમ છે. અને કોઈ તેમની હત્યાનું કાવતરું રચી રહ્યું છે.