નાગરિકતા બિલ પર કેટલાક વિપક્ષી દળો પાકિસ્તાનની ભાષા બોલે છેઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લઇ આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને બિલને દેશહિતમાં ગણાવ્યું અને નિર્દેશ આપ્યો કે નાગરિકતા બિલને લઇ સાંસદ પોતાના સ્તર પર જાગૃતતા ફેલાવે. બિલ લોકસભામાંથી પાસ થઇ ચૂકયું છે અને રાજ્યસભામાંથી પણ તેની પાસ થવાની આશા વ્યકત કરાય રહી છે.

સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સાંસદોને નાગરિકતા બિલને લઇને નિર્દેશ આપ્યો. મીટિંગમાં વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે બિલ પર કેટલાંક વિપક્ષી દળ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. ભાજપ સાંસદોને વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે તેઓ જનતા સુધી એ સંદેશો પહોંચાડે કે બિલ સંપૂર્ણપણે દેશહિતમાં છે. આથી પાડોશી મૂલ્કના પીડિત અલ્પસંખ્યકોને ન્યાય મલશે. આ એક ઐતિહાસિક કાયદો સાબિત થશે.

રાજ્યસભામાં કુલ સભ્ય 245 છે. પરંતુ હાલ પાંચ સીટો ખાલી છે. તેના લીધે રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 240 છે. તેનો મતલબ એ છે કે બિલ માટે જો ગૃહના તમામ સભ્ય મતદાન કરે તો બહુમતી માટે 121 વોટોની જરૂર પડશે.