મોદીએ શરૂ કરાવી 100મી કિસાન રેલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીની ‘કિસાન રેલ’ ટ્રેનની સફરને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી લીલી ઝંડી બતાવીને શરૂ કરાવી હતી. આ દેશની 100મી કિસાન રેલ છે. માત્ર ચાર મહિનામાં જ સરકાર આવી 100 ટ્રેનો શરૂ કરવામાં સફળ રહી છે. ખેડૂતોને એમના ઉત્પાદનોના વેચાણ માટે નવી બજારો ઉપલબ્ધ થાય એ હેતુથી સરકારે કિસાન રેલ શરૂ કરાવી છે. કિસાન રેલ દેશના શાકભાજી અને ફળોથી સમૃદ્ધ ક્ષેત્રોને વધુ માગણીવાળા ક્ષેત્રો સાથે જોડીને ખેડૂતોને એમની ઉપજનું ઉચિત મૂલ્ય અપાવી રહી છે. કોરોના વાઈરસ મહાબીમારીએ સર્જેલા સંકટમાં પણ કિસાન રેલનું નેટવર્ક વધારવામાં સફળતા મળી છે.

વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે કિસાન રેલથી દેશના 80 ટકાથી પણ વધારે નાના તેમજ સીમાંત ખેડૂતોને ઘણી મોટી આર્થિક શક્તિ પ્રાપ્ત થઈ છે. આમાં ખેડૂતો માટે કોઈ લઘુત્તમ માત્ર નક્કી કરાઈ નથી. કોઈ પણ ખેડૂત 50-100 કિલોનું પાર્સલ પણ મોકલી શકે છે. કિસાન રેલ ટ્રેનો દ્વારા છેલ્લા 3 મહિનામાં 27,000 ટનથી પણ અધિક સામગ્રી દેશના જુદા જુદા સ્થળોએ પહોંચાડવામાં આવી છે. ખેડૂતોની સેવા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. કિસાન રેલથી દેશના દરેક ક્ષેત્રની ખેતી અને ખેડૂતોને જોડવામાં આવી રહ્યા છે.