અબકી બાર ટ્રમ્પ સરકારઃ વિદેશ મંત્રી કહે છે કે ખોટો અર્થ ન કાઢો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’  નું જે સ્લોગન આપ્યું હતું, તેનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. વિદેશ પ્રધાન એસ જયશંકરે આ વાત કહી છે. જયશંકરે કહ્યું કે આ નિવેદનના ખોટા અર્થો ન કાઢવા જોઈએ. ત્રણ દિવસના પ્રવાસ પર વોશિંગ્ટન પહોંચેલા જયશંકરે કહ્યું કે અમેરિકાની રાજનીતિમાં ભારત કોઈનો પક્ષ નથી લેતું. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી સાથે હ્યૂસ્ટનમાં થયેલા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ શામિલ થયા હતા.

જયશંકરે એ વાતનું પણ ખંડન કર્યું કે વડાપ્રધાન મોદીએ 2020 ના અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટ્રમ્પની ઉમેદવારીના સમર્થનમાં આ નારાનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીના નિવેદનને લઈને જ્યારે ભારતીય પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે ના તેમણે આવું નથી કહ્યું.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે, વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેને ખૂબ ધ્યાનથી જોવો. વડાપ્રધાને જે કહ્યું, તે મને યાદ છે ત્યાં સુધી, ડોનાલ્ડ ટ્રમ્પે તેનો ઉપયોગ પોતાના પ્રચારમાં કર્યો હતો. એટલા માટે વડાપ્રધાન મોદી પહેલાની વાત કરી રહ્યા હતા. મને નથી લાગતું કે આપણે વડાપ્રધાનની વાતનો ખોટો અર્થ કાઢવો જોઈએ. મારી વાતનો અર્થ એ છે કે વડાપ્રધાન મોદી સ્પષ્ટ હતા કે, તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે.

વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, અમે કોઈનું સમર્થન નથી કરતા. તેમણે કહ્યું કે, એટલા માટે અમો સ્પષ્ટ દ્રષ્ટીકોણ છે કે, તે દેશમાં જે થાય છે તે તેમની રાજનીતિ છે, અમારી નહી.