ઠંડી આવી રહી છે, એનઆરસી પણ આવશેઃ બાબુભૈયાની ટ્વીટ વાઇરલ

નવી દિલ્હીઃ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ચૂક્યું છે. આ બિલના પક્ષમાં 311 જ્યારે વિરોધમાં 80 જેટલા વોટ પડ્યા. બિલને લઈને ગૃહમાં ગૃહમંત્રી અમિત શાહે સદસ્યોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, આ બિલ લાખો-કરોડો શરણાર્થીઓને દર્દભર્યા જીવનથી મુક્તિ અપાવવાનું માધ્યમ બનવા જઈ રહ્યું છે. આ બિલને લઈને સામાન્ય લોકોની સાથે જ બોલીવુડના કલાકારોના રિએક્શન પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ આ મુદ્દે બોલીવુડ એક્ટર પરેશ રાવલની પણ પ્રતિક્રિયા આવી છે. બોલીવુડ અભિનેતા પરેશ રાવલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આપેલા નિવેદનને પોસ્ટ કરવામાં આવ્યું. આ પોસ્ટમાં અમિત શાહ એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલને એક ન કરવા માટે કહી રહ્યા છે. અમિત શાહ કહી રહ્યા છે કે, એનઆરસી અને આને જોડવાની જરુર નથી, એનઆરસી કરશું તો સ્પષ્ટતા સાથે આ સદનમાં, આ જ પ્રકારે બધાને જાણકારી આપીશ. માની લેજો કે એનઆરસી આવવાનું છે. પરેશ રાવલે આ પોસ્ટ શેર કરતા લખ્યું કે, “ઠંડી આવી રહી છે, એનઆરસી આવી રહ્યું છે”. પરેશ રાવલના આ ટ્વીટ પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.