ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીએ કહ્યું બધાં મોદીને કાઢવા ભેગા થઈ રહ્યાં છે

નવી દિલ્હી- દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે અને આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે કોંગ્રેસે તેમને 12 વર્ષ સુધી પરેશાન કર્યો હતો. પણ કાયદા અને સંસ્થાઓ પર તેમને ભરોસો હતો. મોદીએ કોંગ્રેસ પર દેશની સંવૈધાનિક સંસ્થાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી માટે જીવ લગાવીને જોડાઈ જવા માટે આહ્વાન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે સલ્તનત અને બંધારણમાં વિશ્વાસ રાખવાવાળાઓની વચ્ચે છે. એક તરફ તેઓ છે કે જે કોઈપણ રીતે પોતાની સલ્તનત બચાવવા માટેની ફિરાકમાં છે. અને બીજી તરફ હું છું, જે બંધારણ માટે લડે છે. પીએમ મોદીએ મહાગઠબંધનને લઈને વિપક્ષો પર નિશાન તાક્યું હતું. મોદીએ કહ્યું કે કોંગ્રેસના વિરોધમાં ઉભી થયેલ અને એક બીજાનો વિરોધ કરનારી પાર્ટીઓ આજે એક જ વ્યક્તિને હેરાન કરવા માટે એકજુટ થઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસની માનસિકતા વિકાસના દરેક કામમાં અવરોધ ઉભો કરવાની છે. તેમણે વધુમાં એમ કહ્યું કે મેક ઈન ઈન્ડિયાની વાત હોય, જીએસટીની વાત હોય, સ્વચ્છ ભારતની વાત હોય તો પણ કોંગ્રેસ વિરોધ કરતી રહી છે. કોંગ્રેસ તેમની બેઠકોમાં તો જીએસટીને સમર્થન કરે છે, પણ મધ્યરાત્રિએ બોલાવાયેલ સંસદ સત્રનો બહિષ્કાર કરે છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હૂમલો કર્યો હતો કે તેઓ પોતાની જાતને દરેક સંસ્થાઓની ઉપર સમજે છે. તેમને કાયદો અને સંસ્થાઓની પરવાહ નથી, તેઓ હમેશા માટે દેશની સર્વોચ્ચ સંસ્થાઓથી ઉપર જ માની રહ્યા છે. તે ચૂંટણી પંચ હોય કે આરબીઆઈ હોય, તપાસ એજન્સી હોય કે સુપ્રીમ કોર્ટ હોય. મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના વકીલો દ્વારા ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. સીજેઆઈને હટાવવા માટે મહાભિયોગ લાવવાની કોશિષ કરી હતી. કોંગ્રેસ અયોધ્યા મામલે સમાધાન નથી ઈચ્છતી.

કોંગ્રેસ અને વિપક્ષો પર હૂમલો કરતાં પીએમ મોદીએ કહ્યું હતું. આ એ લોકો છે જેમણે દેશના ટૂકડે ટૂકડા કરી નાંખનાર ગેંગની સાથે છે. સર્જિકલ સ્ટ્રાઈકને ખુનની દલાલી કહેનારા લોકો છે. આ લોકો સંસ્થાઓ સાથે કેવું વર્તન કરે છે. ત્યાર બાદ મોદીએ સીબીઆઈના પ્રતિબંધિત કરનારને લઈને વિપક્ષ પર હૂમલો કર્યો હતો. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને પશ્રિમ બંગાળે સીબીઆઈ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમને ડર કઈ વાતનો છે. એવા કેવા કાળા કામ કર્યા છે, કે તેમની ઉંઘ હરામ થઈ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુપીએ સરકારનો એક માત્ર એજન્ડા છે કોઈપણ રીતે મોદીને ફસાવો. અમિતભાઈને જેલ ભેગા કરો. પણ અમે એવો કોઈ નિયમ નથી બનાવ્યો સીબીઆઈ રાજ્યોમાં ન જાય. અમને સત્ય અને કાયદા પર ભરોસો છે. બીજી તરફ એવા લોકો છે કે તેમને કાળા કારનામા ખુલ્લા પડી જવાનો ભય છે. કમ સે કમ દેશની કોર્ટ પર તો વિશ્વાસ રાખો. આજે સીબીઆઈનો સ્વીકાર નથી કરવો, કાલે બીજી સંસ્થાઓનો અસ્વીકાર કરશે, આર્મી, સુપ્રીમ કોર્ટ સીજેજી બધા જ ખોટા. તેમની સલ્તનતને અનુકુળ ન હોય તે તેનો વિરોધ જ કરવાનો.