આ ટેક્નોલોજીથી જાણો ટ્રેનમાં ટિકિટચેકર સાચો છે કે ખોટો

મુંબઈઃ ભારતીય રેલવે વિભાગને અવાર નવાર ટ્રેનમાં ખોટા ટીટીઈ હોવાની ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદોના નિરાકરણ માટે સેન્ટ્રલ રેલવેએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સેન્ટ્રલ રેલવેએ TTE  સાચો છે કે બનાવટી તે જાણવા QR કોડ ટેકનોલોજીની મદદ લીધી છે. એટલે કે, હવે QR કોડની મદદથી તમારા ચાલુ પ્રવાસે  જાણી શકાશે કે, ટિકિટ ચેક કરનાર વ્યક્તિ સાચો છે કે બનાવટી.

મહારાષ્ટ્રના થાણે સ્ટેશનથી આ પાયલટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં 18 ટીટીઈને QR ટેકનોલોજી બેઝ આઈકાર્ડ આપવામાં આવ્યાં છે. જેના ક્યુઆર કોડ પ્રવાસીઓ સરળતાથી સ્કેન કરી શકશે. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો સમગ્ર રેલ ડિવિઝનમાં આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે.

QR એપ્લિકેશન અથવા QR સ્કેન ફીચર ધરાવતી કોઈ પણ એપ્લિકેશનની મદદથી આ ક્યુઆર કોડ તમે સરળતાથી સ્કેન કરી શકશો. કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોનમાં આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ ટીટીઈની તમામ વિગત જાણી શકાશે. જેમાં તેમનું નામની સાથે એક ફોટોગ્રાફ પણ હશે.

બ્રેઈનચાઈલ્ડના સિનિયર ડિવિઝનલના રોબિન કાલિયાએ આ સમગ્ર કોન્સેપ્ટ શરુ કર્યો છે. પ્રવાસીઓ ઓળખી શકે એ માટે દરેક ટીટીઈને આઈકાર્ડ અને યુનિફોર્મ આપવામાં આવ્યાં છે. પ્રવાસીઓને છેંતરતા ગઠિયાઓ સરળતાથી યુનિફોર્મ અને આઈકાર્ડની નકલ કરી શકે છે. ખાસ કરીને જે પ્રવાસીઓ પાસે ટિકિટ નથી હોતી તેઓ આવા ખોટા ટીટીઈને તેમના આઈકાર્ડ વિશે પૂછવાની હિંમત નથી કરતા.

મહત્વનું છે કે, આ ટેકનોલોજીથી પ્રવાસીઓ ટીટીઈના આઈકાર્ડ અંગે પૂછીને કોડ સ્કેન કરી યોગ્ય છે કે નહીં તેની તપાસ કરી શકશે. બીજી તરફ ગેરવર્તણુંક કરતા ટીટીઈ સામે પ્રવાસીઓ ફરિયાદ પણ કરી શકે છે.