અમૃતસર ટ્રેનકાંડમાં માર્યા ગયેલાઓમાં મોટા ભાગના યૂપી, બિહારનાં મજૂરો હતા

અમૃતસર – ગયા શુક્રવારે અહીં 61 જણનો ભોગ લેનાર ટ્રેન અકસ્માતમાં મોટા ભાગનાં મૃતકો ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિત મજૂરો હતા.

અમૃતસર જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

મૃતકો અકસ્માતના સ્થળની નજીકના એક ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા હતા અને તેની નજીકમાં જ રહેતા હતા.

માર્યા ગયેલા 61 જણમાંના 39 મૃતદેહોને પોલીસે ઓળખી કાઢ્યા છે.

દશેરા તહેવારની ઉજવણી નિમિત્તે ગયા શુક્રવારે સાંજે અમૃતસરના જોડા ફાટક વિસ્તારમાં રેલવે લાઈનની બાજુમાં જ આવેલા નાનકડા મેદાનમાં રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાવણનું પૂતળું બળતું હોવા માટે લોકો સાંજે મોટી સંખ્યામાં પાટા પર ભેગા થયા હતા. વાસ્તવમાં, સવારથી જ લોકોનું પાટા પર બેસવાનું શરૂ થઈ ગયું હતું.