મોદી 21 મેએ રશિયા જશે, રશિયન પ્રમુખ પુતિન સાથે અનૌપચારિક મંત્રણા કરશે

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 21 મેએ રશિયાના પ્રવાસે જશે. ત્યાં સોચી શહેરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર મંત્રણા કરશે.

પુતિને આપેલા આમંત્રણને માન આપીને મોદી રશિયા જવાના છે, એવું વિદેશ મંત્રાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

મોદી અને પુતિન આંતરરાષ્ટ્રીય બાબતો અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરશે. આ મંત્રણાનો હેતુ બંને દેશ વચ્ચેની વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત બનાવવાનો છે.

બંને નેતાઓ સંબંધિત રાષ્ટ્રીય વિકાસલક્ષી પ્રાથમિકતાઓ તથા દ્વિપક્ષી બાબતો અંગે ચર્ચા કરશે.

ભારત અને રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરે નિયમિત મસલત ચાલુ રાખવાની પરંપરાને ધ્યાનમાં રાખીને મોદી અને પુતિન વચ્ચે અનૌપચારિક શિખર મંત્રણા યોજવામાં આવનાર છે.